ભુજ-નખત્રાણા, તા. 8 : અલ નીનોના પ્રભાવથી
આ વર્ષે કચ્છ-ગુજરાતમાં ઓછો વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે
એ વચ્ચે મૃગશીર્ષ નક્ષત્રના પ્રારંભે કચ્છમાં આ ચોમાસે શ્રીકાર વરસાદ વરસે તેવા સાનુકૂળ
એંધાણ મળ્યાં છે. દરમ્યાન, જિલ્લામાં
ઉકળાટ-બફારાનો માહોલ જળવાયેલો રહ્યો હતો. કચ્છમાં સામાન્ય રીતે ચોમાસાને લાગેવળગે છે
તે પ્રમાણે વરસાદનાં આગમનનો સમય `આર્દ્રા' નક્ષત્ર એટલે કે 22મી જૂનથી ગણવામાં આવે છે. તે પૂર્વેના બે નક્ષત્રમાં
રોહિણી તા. 25 મેથી 7 કે
8 જૂન અને મૃગશીર્ષ નક્ષત્ર 8 જૂનથી 21 જૂન
સુધી 14 દિવસના વર્ષાઋતુ પૂર્વેના બે નક્ષત્રો બાદ 22 જૂનના વર્ષાઋતુ પ્રારંભનું મહત્ત્વનું `આર્દ્રા'
નક્ષત્ર શરૂ થાય છે. રોહિણી તપે, મૃગેસર વા વાય,
આર્દ્રામાં વરસાદ થાય. ભડલી વાક્ય મુજબ ગત રોહિણી નક્ષત્રમાં એકધારા
14 દિવસ સુધી પ્રખર તાપ-ગરમી અનુભવાયા હતા. જેથી સરેરાશ
શ્રીકાર વરસાદ થાય તેવો જાણકારોનો મત છે. મૃગશીર્ષના આરંભના પ્રથમ દિવસે પવન ફૂંકાયો
હતો.