ભુજ, તા. 21 : અહીંની 8મી એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એટ્રોસિટી
કોર્ટના જજ તુષાર એન. ખંધડિયા દ્વારા નખત્રાણાના ઉખેડાના એટ્રોસિટી અને જાનથી મારી
નાખવાની ધમકી આપવાના કેસમાં ચારેય આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ
કરવામાં આવ્યો છે આ કેસની વિગત મુજબ, ઉખેડા ગ્રામ પંચાયતની વર્ષ 2022માં સામાજિક ન્યાય સમિતિના
ચેરમેન નાનજી કાંયા ગોહિલે ગૌચર જમીનમાં દબાણ અંગે આરોપીઓ વિરુદ્ધ લેન્ડ ગ્રાબિંગની
અરજી કરી હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને ગત તા. 01/08/2022ના આરોપીઓ કાંતિલાલ નારાણભાઇ સાંખલા, હરેશ કાંતિલાલ સાંખલા, ચાંદુભા રામુભા સોઢા અને મનજિત તેજપાલ સાંખલા (રહે. તમામ ઉખેડા) દ્વારા ફરિયાદીને
જાતિ અપમાનિત કરી, ભૂંડી
ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ તારીખ : 6/10/2022ના બનતાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે
પોલીસે એટ્રોસિટી તેમજ આઈ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ભુજ કોર્ટમાં ચાર્જશીટ
રજૂ કરી હતી. આ કામમાં આરોપીઓ તરફથી વકીલ દર્શક કે. બૂચ અને મલ્હાર બૂચ હાજર રહી કેસ
ચલાવ્યો હતો. અદાલતે નોંધ્યું કે, ફરિયાદીની
ફરિયાદ અને જુબાનીમાં મોટો વિરોધાભાસ છે અને કેસ શંકાસ્પદ જણાય છે, જેથી અદાલતે ફરિયાદ પક્ષનો કેસ વાજબી શંકાથી પર પુરવાર ન થતો હોવાનું નોંધીને
ચારેય આરોપીઓને તમામ ગુનાઓમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આખરી હુકમ ફરમાવ્યો છે.