ભુજ, તા. 7 : તાજતેરમાં કચ્છની મુલાકાતે
આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે ઉચ્ચકક્ષાના 30 આઈ.પી.એસ. અધિકારીએ પણ લખપતના
ગામોમાં રાત્રિરોકાણ કર્યું હતું. ડી.આઈ.જી. બનેલા મૂળ કચ્છી એવા આઈ.પી.એસ. હિતેશ જોઈસરે
લખપતથી પરત જતાં સાંજે કચ્છમિત્રની મુલાકાત લીધી હતી. કચ્છમિત્ર ભવનમાં વાતચીત દરમ્યાન
શ્રી જોઈસરે કહ્યું કે, જ્યારે આઈ.પી.એસ.ની
પરીક્ષા આપી રહ્યો હતો, ત્યારે કચ્છમિત્રનું વાંચન કામ આવ્યું
ને કચ્છની ભૌગોલિક તથા વિકાસની વાતો કચ્છ તારી અસ્મિતા પુસ્તકમાંથી સારી રીતે જાણવા
મળી હતી. આજે પણ કચ્છના છેવાડાના ગામો સુધી
કચ્છમિત્ર પહોંચે છે જે વાંચી લોકોને વિશ્વાસ પેદા થાય છે, તેથી
કચ્છીઓનો ભરોસો છે. એક સમયે તો કચ્છમાં આકાશવાણી અને કચ્છમિત્ર જ સમાચારના માધ્યમ હતા
એ વાતની યાદ આપી કહ્યું કે, ગામડાના ઓટલે બેસીને લોકો કચ્છમિત્ર
આજે જરૂર વાંચે છે. મુંબઈ વસતા કચ્છીઓને પણ કચ્છની ખબર રોજેરોજ જાણવા મળે છે,
એટલે તેમણે કચ્છ અને કચ્છ બહારના લોકો માટે કચ્છમિત્રને કડીરૂપ અખબાર
ગણાવ્યું હતું.