નવી દિલ્હી, તા. 16 : શનિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભલે જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલવાદીઓ ખતમ થઈ ગયા હોય, તેમ છતાં દેશના વિવિધ ભાગોમાં `િદમાગી નક્સલ' પણ હાજર છે. આ નિવેદનથી રાજકીય ઘમસાણ સર્જાયું છે. કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
હતો. જો કે, સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ રવિવારે
વડાપ્રધાનની `બૌદ્ધિક નક્સલ' અંગેની ટિપ્પણીની ટીકા કરવા બદલ વિપક્ષી પક્ષો
પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાને
વિપક્ષી નેતાઓને `બૌદ્ધિક નક્સલ' કહ્યા ન હતા. એક મીડિયા હેવાલ મુજબ,
લાલ કિલ્લા પરથી આપવામાં આવેલા ભાષણ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ
રમેશે જણાવ્યું હતું કે, આ શબ્દપ્રયોગનો કોઈ વાસ્તવિક આધાર નથી
અને તેમણે તેની સરખામણી અગાઉ `શહેરી નક્સલવાદી' શબ્દને લઈને થયેલી ચર્ચાઓ સાથે કરી હતી. રમેશે આક્ષેપ કર્યો હતો કે,
કેન્દ્ર સરકાર વારંવાર તેની ટીકા કરનારાઓ માટે વાંધાજનક શબ્દપ્રયોગ કરે
છે, પરંતુ બાદમાં તેઓ જે નીતિઓની હિમાયત કરતા હોય છે તે જ નીતિઓ
અપનાવે છે. જેના જવાબમાં કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી હતી કે, `બૌદ્ધિક નક્સલી' શબ્દનો અર્થ ખાસ કરીને એવા લોકો છે જેઓ માઓવાદીઓને
સમર્થન આપે છે અને બંધારણને સ્વીકારતા નથી.