નવી દિલ્હી, તા. 19 : કાશ્મીરમાં આભેથી આફત વરસી છે. ખીણના પૂંચ અને કિશ્તવાડમાં શનિવારે મોડી રાત્રે વાદળ ફાટયા બાદ ભૂસ્ખલનની સાથે વિનાશકારી પૂરપ્રકોપમાં તણાઇ જતાં રવિવારે 11 લોકોનાં કરુણ મોત થઇ ગયાં હતાં. મોટી સંખ્યામાં ઘરોને નુકસાન થવા સાથે જમીનોનું ધોવાણ થતાં ખેતી પણ ખુવાર થઇ હતી. પૂંચ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં ભૂસ્ખલનથી સર્જાયેલી કરુણ દુર્ઘટનાઓમાં એક જગ્યાએ આખું મકાન તૂટીને કાટમાળમાં દબાઇ ગયું હતું. આ દુર્ઘટનામાં બે વર્ષના બાળક સહિત પાંચ લોકોનાં મોત થઇ જતાં આખાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ કિશ્તવાડના સુર્નુ વિસ્તારમાં વાદળ ફાટતાં અનેક લોકોએ ઘરોની છતને ખોઇ દીધી હતી. પૂંચના સુરનકોટમાં સૌથી વધુ તબાહી મચી હતી. રાજૌરી જિલ્લામાં પણ તોફાની વરસાદ બાદ ધારહાલ નદીમાં પાણીનું સ્તર વધી જતાં 250થી વધારે વાહન ધસમસતા પૂરના પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. દેશના મોસમ વિજ્ઞાન વિભાગે રવિવારે ભારે વરસાદ અને પૂરપ્રકોપ વચ્ચે આવનારા હજુ ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરતાં લોકોને સતર્ક-સાવધાન રહેવાની સલાહ આપી હતી. રાહત-બચાવ અભિયાન છેડતાં ટીમો રાજ્યના વિવિધ પૂર પીડિત જિલ્લામાં લોકોને સલામત સ્થળોએ લઇ જવા સહિતની કવાયતમાં કામે લાગી હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે ફોન પર વાતચીત કરીને કેન્દ્ર સરકાર તરફથી તમામ સંભવ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. કાશ્મીરના અનેક વિસ્તારોમાં પૂરની ભીષણ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાને લેતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે દિલ્હી પ્રવાસ ટૂંકાવીને બપોરે જ પરત જમ્મુ ફરવાનો ફેંસલો કર્યો હતો.