અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ ની 24મી કડીનો રાજ્ય વ્યાપી પ્રારંભ વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઈસ્કુલથી તો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગાંધીનગરના અડાલજની કુમાર પ્રાથમિક શાળા ખાતેથી અડાલજ વિસ્તારની 3 સરકારી શાળાઓમાં અને અન્ય મંત્રીઓ તથા સનદી
અને સરકારી અધિકારીઓએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. દરમ્યાનમાં મુખ્યમંત્રીએ
જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ
અને કન્યા કેળવણી અભિયાનથી શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એક સમયે
મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા, પરંતુ સતત
પ્રયાસો અને શિક્ષણ પ્રત્યેની સામૂહિક જવાબદારીના કારણે આજે શાળાઓમાં નામાંકન દર 100 ટકા સુધી પહોંચ્યો છે અને ડ્રોપઆઉટ
રેશિયો 1. ટકાથી પણ ઓછો થયો છે. ટેકનોલોજી
અને શિક્ષકોના સતત પ્રયાસોના પરિણામે શાળા બહાર રહેલા બાળકોને શોધી ફરી શિક્ષણ સાથે
જોડવામાં આવી રહ્યા છે. કોઈ વિદ્યાર્થી એકાદ-બે
દિવસ ગેરહાજર રહે તો શિક્ષકો વાલીઓનો સંપર્ક કરીને બાળકની ગેરહાજરીની ચિંતા કરે છે.
દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી
છે.