ભુજ, તા. 23 : જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ
ભુજ-માંડવી હાઈવે પર અકસ્માત નિવારવા હેતુથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા રોલર ક્રેશ
બેરિયરની કામગીરીની સમીક્ષા કરી હતી. કલેક્ટરે માર્ગ સલામતીને પ્રાથમિકતા આપીને કામગીરી
કરવા સૂચન કર્યું હતું. માંડવી તાલુકાને મુખ્ય મથક ભુજ સાથે જોડતો ભુજ-માંડવી રોડ મહત્ત્વપૂર્ણ
રાજ્ય ધોરીમાર્ગ છે, જ્યાં હાલમાં
માર્ગ સલામતી માટે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. આ રસ્તો ડુંગરાળ વિસ્તારમાંથી પસાર
થતો હોવાથી તેમાં હોરિઝોન્ટલ અને વર્ટિકલ વળાંકો આવેલા છે. આ કારણે ભૂતકાળમાં અવારનવાર
અકસ્માતો થયા છે. આ સમસ્યાને હલ કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર
દ્વારા નવીન ટેક્નોલોજી સાથેના રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
છે. આ સલામતી પહેલ ગુજરાતમાં અંબાજી અને સાપુતારા રોડ પર થયેલા પાઈલટ પ્રોજેક્ટના સફળ
અમલીકરણથી પ્રેરિત છે. રોલર ક્રેશ બેરિયર લગાવ્યા બાદ અકસ્માતો નિવારવા અને જીવ બચાવવામા
મોટો ફાયદો જોવા મળ્યો છે. આ હકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને, ભુજ-માંડવી રૂટ પર સામાન્ય ક્રેશ બેરિયરની જગ્યાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારની મંજૂરી મળ્યા બાદ, હાલમાં આ રસ્તા પર કિ.મી. ચેઈનેજ 8/200, 9/200, 10/100
અને 11/000 પર
નવા રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટરે આ કામગીરી ઉચ્ચ ગુણવત્તા
સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરીને મુસાફરોની સેફ્ટીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.