બેંગ્લોર, તા. 20 : કર્ણાટકના બેંગ્લોરમાં બનેલી
સનસનાટીભરી ઘટનામાં કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓમ પ્રકાશની તેમના
નિવાસસ્થાને છરી મારીને ક્રૂરતાથી હત્યા કરાઈ હતી. તેમની હત્યાથી પોલીસબેડામાં શોકનું
મોજું ફર્યું હતું. તેઓ 2015થી 2017 સુધી ડીજીપીના પદ પર રહ્યા
હતા. આ ઘટનામાં પોલીસે તેમની પત્ની પલ્લવી પર હત્યાની શંકા વ્યક્ત કરવા સાથે તપાસ શરૂ
કરી. એક મીડિયા હેવાલ મુજબ, 1981 બેચના આઈપીએસ અધિકારી ઓમ પ્રકાશ તેમના નિવાસ્થાને હતા ત્યારે
જ તેમની હત્યા થઈ હતી, જે અંગે તેમના
પત્નીએ જ પોલીસને જાણ કરી હતી. ઘટના સમયે તેમના પત્ની અને પુત્રી ઘરે હાજર હતા. થોડા
દિવસો પહેલા પતિ-પત્ની વચ્ચે અંગત બાબતોને લઈને વારંવાર ઝઘડા થતા હતા. પોલીસને શંકા
છે કે, ઓમ પ્રકાશની હત્યા તેમની પત્નીએ જ કરી હતી. કારણ કે પત્ની
અને પુત્રી ઘરમાં હતા. પત્નીએ જ પોલીસને ફોન કરીને હત્યા વિશે જાણ કરી હતી,
પરંતુ જ્યારે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોલવાનો
ઇનકાર કર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને આગળની તપાસ હાથ
ધરી હતી.