ગાંધીધામ, તા. 19 : આદિપુરમાં 25 વર્ષ પહેલાં બનેલા અપહરણ હત્યાના
બનાવમાં અહીંની કોર્ટે મહત્ત્વના ચુકાદો આપ્યો છે. કોર્ટે પુરાવાના અભાવે અને શંકાનો
લાભ આપીને મુખ્ય આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે, જ્યારે અન્ય એક આરોપીનું ટ્રાયલ દરમ્યાન અવસાન થતાં તેમની સામેનો કેસ અબેટ
(બંધ) કરવામાં આવ્યો હતો. ભચાઉના નવા બસ સ્ટેશન પાસેથી ફરિયાદી પસાર થઇ રહ્યા હતા,
ત્યારે તા. 21/2/2002ના આરોપી ગોવિંદ સામત ચાવડા અને ડી.બી. આહીર (તલાટી)એ તેમની
કાર ઊભી રખાવી હતી અને બળજબરીથી કારની પાછળની સીટમાં બેસાડી દઇ આદિપુર ખાતે 4-એ વિસ્તારમાં એક ઘર પાછળ લઇ ગયા હતા, જ્યાં
ફરિયાદી પાસે તેમનું ઘર પોતાના નામે લખી આપવા તથા રૂા. 10 લાખ રોકડની માગણી કરી હતી, જે નહીં સ્વીકારતા આરોપીઓએ પેટ્રોલ છાંટી દિવાસળી
ચાંપી જીવતા સળગાવી દઇ નાસી છૂટયા હતા. ભોગ બનવનારનું રામબાગ હોસ્પિટલ ખાતે નિવેદન
લેવાયું હતું તથા ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદીનું
મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતું. બાદમાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે
જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી ચાર્જશીટ રજૂ કરી હતી. રાજ્યની
વડી અદાલતના આદેશ અનુસાર આ કેસની રોજેરોજ સુનાવણી અહીંની કોર્ટમાં હાથ ધરવામાં આવી
હતી. ફરિયાદ પક્ષ દ્વારા 13 સાક્ષી, મરણોન્મુખ નિવેદન સહિત 33 લેખિત દસ્તાવેજી પુરાવા રજૂ
કરાયા હતા, જ્યાં કોઇ પણ આરોપી પર
આક્ષેપ કરવામાં આવ્યો હોય અને તહોમતનામું ફરમાવવાનું આવ્યું ત્યારે તે અંગેનો આક્ષેપ
અને તહોમતનામું નિશંકપણે પૂરવાર કરવાની જવાબદારી ફરિયાદ પક્ષ ઉપર રહેલી છે,
તે સંજોગોમાં ફરિયાદ પક્ષ તરફથી આરોપીને સીધી રીતે ગુનામાં સાંભળી પુરાવો
રજૂ કરવામાં નિષ્ફળ નીવડેલ છે અને શંકારહિત પૂરવાર કરી શક્યા નથી.ધનજી ભીમજી આહીરને
પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરાયો હતો, જ્યારે ગોવિંદ સામત ચાવડાનું ચાલતા કેસે અવસાન થતાં તેમની સામે કેસ
બંધ કરાયો હતો. આરોપીઓના બચાવ પક્ષે વરિષ્ઠ ધારાશાત્રી વરજાંગ એન. ગઢવી, નીતેશ એ. ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.