• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

આર્થિક વિકાસમાં કડવાશ ઘોળતો મોંઘવારી વધારો

ભારતીય અર્થતંત્રનો આજે દુનિયમાં ડંકો વાગી રહ્યો છે. વિશ્વના લગભગ તમામ વિકસિત દેશ ભારતની સાથે વેપારને વધારવા તત્પર બન્યા છે.આવા ફૂલ ગુલાબી આર્થિક ચિત્રમાં મોંઘવારીનો વધી રહેલો બોજો સામાન્ય માનવીઓ માટે ચિંતા વધારી રહ્યો છે. દેશના નાગરિકો માથે મોંઘવારીની ચિંતા ન રહે એવા  આદર્શ  આર્થિક વિકાસની ખેવના સ્વાભાવિક રીતે ઉદ્ભવી રહી છે. ઘરેલુ વપરાશ અને નીતિલક્ષી સુધારાની મદદથી ઝડપી વિકાસની સંગાથે ભારત દુનિયાનું ચોથા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે, પણ આ વિકાસના આંકડાની ગણતરીમાં જો મોંઘવારીને સ્થિર રાખવાની કે તેમાં ઘટાડો કરવાની સફળતાનો સમન્વય થાય તો સામાન્ય નાગરિકો માટે ભારતનાં અર્થતંત્રની મજબૂતાઈની પ્રતીતિ થઈ શકે. વિકાસનાં ચિત્રમાં મોંઘવારીની ચિંતા ખરા અર્થમાં ભારે વિરોધાભાસી જણાઈ રહી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ જાન્યુઆરીમાં મોંઘવારીનો જથ્થાબંધ ભાવાંક વધીને 1.81 ટકાએ પહોંચી ગયો હતો. ગયાં વર્ષે આ સમયગાળામાં આ મોંઘવારી માત્ર 0.83 ટકા જ હતી. આ જ રીતે છૂટક મોંઘવારી ગયા મહિને 2.75 ટકાને આંબી ગઈ. વધી રહેલી મોંઘવારીમાં મોટો હિસ્સો ખાદ્ય સામગ્રી અને જીવનજરૂરી વસ્તુઓના વધેલા ભાવોનો રહ્યો છે. સ્વાભાવિક રીતે વધેલી મોંઘવારીની સૌથી વધુ અસર ગરીબ અને મધ્યમ વર્ગને થતી હોય છે. આ વર્ગની મર્યાદિત આવકનો મોટો હિસ્સો ભોજન અને આરોગ્યની પાછળ ખર્ચાતો હોય છે. આના લીધે આ વર્ગની ખરીદશક્તિ ઘટી જતી હોવાને લીધે તેમને અન્ય ખર્ચા પર કાપ મૂકવાની ફરજ પડતી હોય છે. ઉલ્લેખનીય છે કે, ખાદ્ય પદાર્થો ઉપરાંત ઈંધણ સહિતની જરૂરી વસ્તુઓના ભાવોમાં વધારાના આધારે જથ્થાબંધ મોંઘવારીમાં ઉછાળો આવ્યો છે.   વધતી-જતી મોંઘવારીમાં જે રીતે ખાદ્ય પદાર્થોના ભાવ વધી રહ્યા છે તે સૌથી વધુ ચિંતાજનક છે. સામાન્ય પરિવારની રોજબરોજની ખાવાપીવાની જરૂર તો જે રીતે મોંઘી થઈ રહી છે તે તેમના ઘરના બજેટને ખોરવી નાખે છે, જે પરિવારો રોજ કમાઈને ખાય છે તેમની સામે આ વધારો અન્ય જરૂરી વસ્તુઓમાં કાપ મૂકવા ફરજ પાડી રહ્યો છે. આ વખતે મોંઘવારીમાં જે રીતે વધારો થયો છે તેમાં સૌથી વધુ ભાવ શાકભાજીના વધ્યા છે. શાકભાજીના ભાવોનો મોંઘવારીનો આંક 6.78 ટકાને આંબી ગયો છે. આનાથી સામાન્ય વર્ગની હાલત કફોડી બની રહી હોવાનું સમજી શકાય તેમ છે. આવા પડકારભર્યા આર્થિક સંજોગોમાં સરકારે વિકાસના માપદંડમાં મોંઘવારીને નિયંત્રણમાં રાખવાનાં પગલાંનો સમાવેશ કરવાનું અનિવાર્ય બની ગયું છે. આવા કોઈ નક્કર પગલાં જ દેશને ખુશ રાખી શકશે અને જો દેશના નાગરિકોની માથે મોંઘવારીની ચિંતા નહીં હોય તો આર્થિક વિકાસની ખરી પ્રતીતિ અને આનંદથી દેશ વંચિત રહી જશે. સરકારે આ મામલે કાયમી અને નક્કર કાર્યયોજના અમલી બનાવવી જોઈશે.   

Panchang

dd