ગાંધીધામ, તા. 9 : કંડલા મહાબંદર અને કંડલા સેઝના
કારણે પોર્ટ આધારિત ઉદ્યોગો ગાંધીધામ સંકુલમાં
લાંબા અરસાથી ધમધમી રહ્યા છે અને ઔદ્યોગિકીકરણનાં પગલે શહેરની આસપાસ મહાકાય ઉદ્યોગો ધમધમતાં સેંકડો લોકોની દિલ્હી-મુંબઈ જેવા
શહેરોમાંથી આવનજાવન વધી છે. કંડલા અરેપોર્ટ
ઉપર મુંબઈની ઉડાન ભરતી ફલાઈટ આગામી તા. 22 એપ્રિલથી બંધ થવા જઈ રહી છે.
આ ઘટનાના ગાંધીધામ સંકુલમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કંડલા વિમાની સેવાથી વિખૂટું
પડયું તો ઔદ્યોગિક વિકાસ રૂંધાઈ જશે તેવી દહેશત ઉદ્યોગકારો વ્યકત કરી રહ્યા છે. - આર્થિક સંકટનાં કારણે વિમાની
સેવાનો સંકેલો : કંડલા એરપોર્ટથી અગાઉ અમદાવાદ, દિલ્હી અને મુંબઈની વિમાની સેવા ચાલુ હતી અને તમામ ફલાઈટમાં ઓકયુપેશન સારા પ્રમાણમાં
હતી. શરૂઆતમાં દિલ્હીની વિમાની સેવા અુમક અમુક સમયે ચાલુ-બંધ થતી રહી હતી, પરંતુ હાલ લાંબા
સમયથી આ સેવા બંધ જ છે. અગાઉ મુંબઈની બે વિમાની સેવા ચાલુ હતી, પરંતુ એક ફલાઈટ બંધ કરી દેવાઈ હતી. મળતી વિગતો મુજબ સ્પાઈસ જેટ દ્વારા આર્થિક
સંકટના બહાને મુંબઈ કંડલાની વિમાની સેવા અગામી
તા. 22 એપ્રિલથી બંધ કરવાનો નિર્ણય
લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં કંડલા એરપોર્ટમાં પ્રવાસીઓની સંખ્યામાં
અનેકગણો વધારો થયો હતો, તો અત્યારના સમયે પણ મુંબઈની ફલાઈટ
હોય કે દિલ્હીની વિમાની સેવા હોય તમામ ફાલાઈટ
ફુલ જાય છે. એરપોર્ટ પ્રશાસન બીજી વિમાની કંપનીઓ
સાથે વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું. વિમાની સેવા બંધ કરવાના નિર્ણયથી ઉદ્યોગજગતમાં
આક્રોશ ભભૂકી ઊઠયો છે. - મુંબઈની વિમાની સેવા બંધ થવાથી
ગાંધીધામ સંકુલને નુકસાન : ગાધીધામ ચેમ્બર
ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, સ્પાઈસ
જેટ દ્વારા કંડલા-મુંબઈની વિમાની સેવા બંધ કરવાનો નિર્ણય ગાંધીધામ સંકુલ માટે ભારે
નુકસાનકારક સાબિત થશે. ઈન્ડિગો કંપની વિમાની સેવા શરૂ કરે તે માટે ચેમ્બર
દ્વારા વખતોવખત રજૂઆત કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું
હતું તેમજ જ્યારે પણ એટીઆર બગડે કે કોઈ ખામી હોય તો જેટલાં સ્થળે એટીઆર દોડતા હોય તેમાં કચ્છની જ સેવાને અસર પહોંચાડવામાં આવે છે. ઔદ્યોગિક હબ
કંડલામાં વિમાની સેવાને સક્ષમ બનાવવા માટે
ગ્રીન ફીલ્ડ એરપોર્ટ જરૂરી હોવાનું તેમણે ભારપૂર્વક
જણાવ્યું હતું અને ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆતો કરાઈ હોવાનું ઉમેર્યું હતું.
- વિમાની સેવા ચાલુ રહે તે માટે
કાયમી ઉકેલ શોધવો જરૂરી : ફોકિયાના એમ.ડી. નિમિષ ફડકેએ જણાવ્યું હતું
કે, કચ્છમાં ઓછી કનેક્ટિવિટીની સતત રજૂઆતો વચ્ચે
મુંબઈની વિમાની સેવા બંધ થવાથી તેની ઘણી નકારાત્મક
અસર થશે. અવારનવાર વિમાની સેવા બંધ ન થાય તે માટેનો કાયમી વિકલ્પ શોધવો જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું, તદુપરાંત દેશનું નંબર વન કંડલા પોર્ટ ગ્રીન ફીલ્ડ એરપોર્ટ માટે સક્રિય રસ દાખવે તેવું તેમણે ઉમેર્યું હતું અને ફલાઈટ ઓપરેશન સતત ચાલુ રહે તે માટે ગ્રીન ફીલ્ડ એરપોર્ટ જ એકમાત્ર ઉપાય હોવાનું ભારપૂર્વક કહ્યું હતું. - ડીપીએના ભાવિ પ્રોજેક્ટોને
અસર પડશે : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ
અને ઉદ્યોગકાર મહેશ પુજે ચિંતા સાથે જણાવ્યું
હતું કે, મુંબઈની વિમાની સેવા બંધ થવાથી કંડલા પોર્ટના
ભાવિ પ્રકલ્પોને નકારાત્મક અસર પડશે. પોર્ટને આગળ વધારવામાં તૈયાર કરેલી યાદીમાં વિમાની સેવાને શરૂ કરાવવા માટે
પ્રશાસને અગ્રતા આપવી પડશે. શિપિંગ મંત્રાલય મારફત એવીએશન મંત્રાલયમાં રજૂઆત કરાવાય તે જરૂરી છે,
નહીં તો કંડલાના ભાવિ પ્રકલ્પોને અસર પડશે તેવી ભીતિ વ્યકત કરી હતી. - વાયા અમદાવાદ-ગાંધીધામ આવવા
કોઈ ઉદ્યોગકાર તૈયાર નથી : એશિયાના સૌથી
મોટા ટિમ્બર ઉદ્યોગના સંગઠન કંડલા ટિમ્બર એસોસીએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, 1980-85માં ગાંધીધામાં એક પ્લાયવૂડની
કંપની હતી. આજે સેંકડો કંપનીઓ અને સો-મિલો
અહી ધમધમે છે. દિલ્હીની ફલાઈટ બંધ થતાં કોઈ ઉદ્યોગકાર વાયા અમદાવાદ 6 કલાક બગાડીને આવવા માટે તૈયાર ન થતા હોવાનું તેમણે કહ્યું
હતું. - 22 એપ્રિલ પહેલાં બીજી કોઈ વિમાની સેવા માટે સક્રિય પ્રયાસ જરૂરી : ગાંધીધામના અગ્રણી નમક
ઉદ્યોગકાર બાબુભાઈ હુંબલે વિમાની સેવા બંધ થવા મુદ્દે રોષ વ્યકત કરી 22 તારીખ પહેલાં કોઈ પણ કંપનીની
ફલાઈટ શરૂ થાય તે માટે સક્રિય પ્રયાસ કરવા જોઈએ તેવું ભારપૂર્વક કહ્યું હતું અને આ
મુદ્દે તોઓ ખુદ કેન્દ્ર અને રાજ્યસ્તરે રજૂઆત કરશે તેવું ઉમેર્યું હતું. ગાંધીધામ ઉદ્યોગ ક્ષેત્રનું હબ છે અને અહી રન-વેનું વિસ્તરણ કરીને
મોટા વિમાન ઊતરે તેવી સુવિધા વિકસાવવાની દિશામાં તાતી જરૂરિયાત છે. આ સેવા બંધ થતાં
કંડલા સંકુલનો ઔદ્યોગિક વિકાસ અવરોધાશે તેવું ચિંતાના સ્વરમાં જણાવ્યું હતું. - અન્ય કંપનીઓને પણ સ્લોટ આપવા જરૂરી : લાકડાંના
અગ્રણી વેપારી એસ.આર.જી. પ્લાયના સમીર ગર્ગે જણાવ્યું હતું કે, વિમાની સેવા બંધ થવાની વેપાર ઉદ્યોગને ભારે મુશ્કેલી પડશે. ઔદ્યોગિક વિકાસમાં
કનેકિટવિટી મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે તેવી
સ્થિતિમાં ફલાઈટ બંધ થતાં તેની નકારાત્મક અસર
પડશે. તેમણે સ્પાઈસ જેટ ઉપરાંત અન્ય વિમાની
કંપનીઓને સ્લોટ ફાળવવા જોઈએ તેવું જણાવ્યું
હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કંડલા એરપોર્ટ ઉપર મુંબઈ,
અમદાવાદની ફલાઈટો શરૂ થઈ ને બંધ થઈ હતી અને વર્ષો સુધી એક પણ ફલાઈટનું ઓપરેશન થયું ન હતું.
હવે 22 એપ્રિલ બાદ
શું થાય છે તે જોવું રહ્યું.