નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટે
બુધવારે સંસદરેલી દરમ્યાન કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સમર્થકો પર થયેલા લાઠીચાર્જ
વિરુદ્ધ અરજીની તરત સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે
કહ્યું હતું કે, અમારો વીડિયો જોવામાં કોઇ
રસ નથી. અમારી પાસે એ જોવાનો સમય નથી. એક વકીલે જનહિતની અરજી કરતાં છાત્રો સાથે મારપીટનો
વીડિયો જોવા માટે બીજીવાર અનુરોધ કર્યો, તો મુખ્ય ન્યાયમૂર્તિ
સૂર્યકાંતે કહી દીધું હતું કે, તમારો અને અમારો સમય બરબાદ ન કરો.
ખાસ ઉલ્લેખનીય છે કે, 15મી મેના એક
મામલાની સુનાવણી દરમ્યાન મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, કેટલાક બેરોજગાર યુવાનો કોકરોચ જેવા હોય છે.
આ ટિપ્પણી પછી જ અભિજિત દીપકેએ ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીના નામથી એકાઉન્ટ
બનાવ્યું હતું. કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ 20મી જુલાઇમાં સંસદ તરફ કૂચ કરી હતી. હજારો
દેખાવકારો સંસદ તરફ આગળ વધ્યા હતા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો
હતો અને અશ્રુવાયુ છોડયો હતો, જેમાં
100થી વધુ જવાનો, દેખાવકારો ઘાયલ થયા હતા.