અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી): ગુજરાતની
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઉમેદવારી ફોર્મ પાછા ખેચવાના
આજે છેલ્લો દિવસે કુલ 1532 ફોર્મ પરત
ખેંચાયા બાદ હવે કૂલ 26,174 ઉમેદવારો
વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે.
પક્ષપલટા અને રિસોર્ટ પોલિટિક્સ વચ્ચે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના ખેલ શરૂ થયો છે. મહત્વનું છે કે,
વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા
ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો છેલ્લા
દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ
સર્જાયા હતા. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો. પરંતુ આજે ફોર્મ પરત
ખેંચવાનો છેલ્લો દિવસે અનેક રાજકીય ઉલટફેર જોવા મળ્યા હતા. ચૂંટણીના જંગ પહેલા જ કોંગ્રેસ
પક્ષમાટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું જણાય છે. કોંગ્રેસના આંતરિક વિખવાદ કે રણનીતિના
ભાગરૂપે એક પછી એક ઉમેદવારો મેદાન છોડી રહ્યા છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના
છેલ્લા દિવસે ઠેર ઠેર સંપર્ક વિહોણા થયેલા
કોંગ્રેસના ઉમેદવારો અચાનક પ્રગટ થઈ પોતાના ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસમાં ખળભળાટ મચી
ગયો છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે સૌથી મોટો ચર્ચાનો વિષય રિસોર્ટ પોલિટિક્સ બન્યો છે.ભૂતકાળના
નિલેશ કુંભાણી પ્રકરણમાંથી પાઠ ભણીને કોંગ્રેસે આ વખતે નવી રણનીતિ અપનાવી છે. પણ આ
રણનીતિ વચ્ચે પણ કોંગ્રેસના અનેક જગ્યાએ સુપડા સાફ થયા છે અને ભાજપ બિનહરીફ જાહેર થયું
છે.ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણો પલટાયા છે. દરમિયાન અમદાવાદ,
સુરત, રાજકોટ અને મોરબી સહિતના વિવિધ જીલ્લાના
કોંગ્રેસ ઉમેદવારોને પક્ષપલટાના ડરથી પાડોશી રાજ્ય રાજસ્થાનના ગુપ્ત સ્થળોએ ખસેડવામાં
આવ્યા હોવાની માહિતી મળી રહી છે. તો સુરતમાં કોંગ્રેસે પોતાના 40 ઉમેદવારોને 11 જેટલા ગુપ્ત સ્થળો રાખ્યા છે.