નવી દિલ્હી, તા. 15 : ઇરાન યુદ્ધ
વચ્ચે અચાનક જ ભારતની પ્રશંસા કરીને પાકિસ્તાને ભારોભાર અચરજ સર્જી દીધું છે. રશિયામાં
પાકના રાજદૂત ફૈઝલ નિયાઝ તિરમીઝીએ કહ્યું હતું કે,
ભારત અને પાકિસ્તાને એકબીજાની પરમાણુ સુવિધાઓ પર હુમલા નહીં કરવાની પારસ્પરિક
ગેરંટી આપી છે. પાક રાજદ્વારી ફૈઝલે પશ્ચિમ એશિયા યુદ્ધથી ઉચાટનો ઉલ્લેખ કરતાં કોઇપણ
દેશના પરમાણુ મથકો પર હુમલા નહીં કરવાની હિમાયત કરી હતી. મે-2025ના ભારત-પાક સંઘર્ષ વિશે તિરમીઝીએ
કહ્યું હતું કે, અમે ભારત સાથે વાતચીતની
તૈયારી બતાવી હતી અને ટ્રમ્પે તણાવ ઘટાડવામાં ભૂમિકા ભજવી હતી. ભારત-પાક સંબંધો સુધારવામાં
રશિયાની પણ સારી ભૂમિકા રહી છે તેવું કહેતાં પાકના રાજદૂતે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી
કે પાકિસ્તાન બ્રિક્સમાં સામેલ થવા માગે છે. રાજદૂત તિરમિઝીએ જણાવ્યું હતું કે,
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સુવિધાઓ પર હુમલો ન કરવાની પરસ્પર ગેરંટીનો
એક મજબૂત ઇતિહાસ રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, બંને દેશોએ એકબીજાને
ખાતરી આપી છે કે, કોઇપણ સંજોગોમાં એકબીજાના પરમાણુ પ્લાન્ટસને
નિશાન બનાવવામાં આવશે નહીં. વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આ પ્રકારની ગેરંટી ખૂબ જ મહત્ત્વની છે. પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે વાત કરતાં
તિરમિઝીએ કહ્યું કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષમાં અમે જોયું
કે, બુશહર પર હુમલો થયો. જો પરમાણુ પ્લાન્ટ પર સીધો હુમલો થયો
હોત તો તેના પરિણામો માત્ર ઇરાન જ નહીં પરંતુ પાકિસ્તાન અને સમગ્ર ખાડી દેશો માટે ગંભીર
હોત.