• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

સ્મૃતિવનના ઉંબરેથી.... ભૂકંપનો ભૂતકાળ ભીની આંખે યાદ કર્યો કચ્છે

ભુજ, તા. 24 : કચ્છના ગોઝારા ધરતીકંપને 25 વર્ષ જેવો લાંબો સમયગાળો પૂર્ણ થયો છે ત્યારે ભૂકંપ દીવંગતોની સ્મૃતિમાં વિશ્વસ્તરીય નિર્માણ થયું છે એ સ્મૃતિવન મેમોરિયલનાં મેદાનમાં શનિવારે સાંજે કચ્છમિત્ર પ્રસ્તુત `ધ્રુજારી : એક નવી શરૂઆત' સ્મૃતિવંદના કાર્યક્રમ ધરતીકંપની કડવી યાદોની સાથે બેનમુન નવસર્જનને બિરદાવવાનો અવસર બની રહ્યો છે. ભૂકંપથી હૃદયસ્પર્શી વાતોથી સૌની આંખો ભીંજાઇ હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધરતીકંપમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કચ્છનું ભૂકંપ પછીનું નવસર્જન એ વિશ્વ માટે `મોડેલ' ગણાવી વિશ્વાસ વ્યક્ત કર્યો કે, કચ્છમાં થઇ રહેલો વિકાસ એ માત્ર ગુજરાતના જ નહીં, દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે અને આપતો રહેશે. - વિવિધ ક્ષેત્રના મહાનુભાવો : કચ્છમિત્ર દ્વારા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જીએસડીએમએ) અને રેડક્રોસના સહકારથી યોજાયેલા આ સ્મૃતિવંદના સમારોહમાં કચ્છભરમાંથી વિવિધ રાજકીય, સામાજિક, ધર્મ ક્ષેત્ર અને કોર્પોરેટ જગતના મહાનુભાવો સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનાં ઉદ્બોધન પહેલાં કચ્છમિત્ર ટીમ દ્વારા સૌરાષ્ટ્ર  ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાના મુખ્ય માર્ગદર્શનમાં તૈયાર થયેલી કોફી ટેબલ બુક અને નેટ ફ્લિક્સ પર પ્રસ્તુત થઇ રહેલી કચ્છના ભૂકંપ અને નવસર્જન પરની 25 એપિસોડની વેબસિરીઝનું વિમોચન અને આરંભ થયો હતો. દિવસના રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ સાથે અંજાર ડેમ ખાતે ભૂકંપના દિવંગતોને મુખ્યમંત્રીના હસ્તે દીપ પ્રગટાવી સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. - સ્મૃતિવન ફેઝ-3 : મુખ્યમંત્રી શ્રી પટેલે આ તબક્કે જાહેરાત કરી હતી કે, સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલમાં ફેઝ-2નો 267 એકર વિસ્તારમાં અને 569 કરોડના ખર્ચે વિકાસ કરાશે. તેમણે ઉમેર્યું કે, ભૂકંપમાં વિનાશ એટલો ભયંકર હતો કે, કચ્છ ક્યારેય બેઠું નહીં થાય એવું લાગ્યું હતું, પરંતુ વિશ્વનેતા બનેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના ગુજરાતના મુખ્યમંત્રીના નેતૃત્વમાં કચ્છીઓએ પડકાર ઝીલી લીધો અને વિશ્વને નવસર્જનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને ઇતિહાસ રચ્યો છે. જીએસડીએમએએ નવસર્જનનું સફળ મોડેલ પ્રસ્તુત કર્યું હતું અને યુનોનો એવોર્ડ મેળવ્યો. આજે કચ્છ એ વિકાસની ઓળખ બન્યું છે. તાજેતરના વાયબ્રન્ટમાં કચ્છમાં સવા લાખ કરોડના રોકાણ માટે સમજૂતી થઇ. આ સાથે લોકોએ સ્મૃતિવંદના કાર્યક્રમનાં આયોજન, ભૂકંપ પરની કોફી ટેબલ બુકનાં સર્જન બદલ કચ્છમિત્રને ખાસ અભિનંદન આપ્યા હતા. - ભૂકંપને ભૂલી નવસર્જનનો નવો રાહ કંડારીએ : ત્રિકમભાઇ : રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં ભૂકંપની વિનાશક થપાટને ભૂલી નવસર્જનનો રાહ કંડારવા અનુરોધ કર્યો હતો. આફતને અવસરમાં પલટાવી બેઠા થવાની પ્રકૃતિ ધરાવતાં કચ્છે વિશ્વ માટે ઉદાહરણ પૂરું પાડયાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ લગાવની વાત કરી ભૂકંપ દિવંગતોને સામૂહિક શ્રદ્ધાસુમન અર્પવાના આ પ્રયાસને શ્રી છાંગાએ બિરદાવ્યો હતો. પોતાના અનુભવ વર્ણવતાં ત્રિકમભાઇએ કહ્યું કે, એ સમયે ધરતી એવી ધ્રૂજી કે જાણે કે, હમણાં જમીન ફાટી પડશે. 100થી વધુ ગામ પૂર્ણ રીતે જમીનદોસ્ત થયા, પણ આજે કચ્છ પુન:વસનનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. - `2001માં વિનાશ અને 2026માં વિકાસના આંકડા લખ્યા, કચ્છમિત્ર છું' : સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ કચ્છના લોકલાડીલા અખબાર બનીને પોતાની ભાવના-વિચાર અને ટ્રસ્ટની લોકલક્ષી નીતિ મુજબ ચાર નવી જાહેરાતો કરી હતી. તેમના શબ્દો હતા `કચ્છમિત્ર છું, કચ્છનો અવાજ છું, 25 વર્ષનું ટાઇમ મશીન છું. 2001માં વિનાશ અને 2026માં વિકાસના આંકડા લખું છું.' શ્રી મામણિયાએ કહ્યું કે, કોફી ટેબલ એ વિઝ્યુઅલ સ્મારક છે. વેબસિરીઝ નેટફ્લિક્સમાં સમગ્ર વિશ્વ માટે ઉપલબ્ધ છે. કચ્છની સ્થિતિની નજરે તેમણે કચ્છના 700 ગામોમાં આપત્તિ વ્યવસ્થાપન તાલીમ, ઘરોની સુરક્ષા માટે એઆઈ સોફ્ટવેર, ફેલોશિપ અને સુરક્ષા માટે અખબારમાં વિશેષ કોલમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. - `પડકાર ઝીલવું કચ્છની આદત,નમૂનારૂપ નવસર્જન' : દીપકભાઇ : આ પહેલાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે આવકાર આપતાં કહ્યું કે, આફત એ કચ્છ માટે નવી વાત નથી, પરંતુ 26/1ની આફત મહાવિનાશક હતી, પણ કચ્છની પડકાર ઝીલવાની હિંમતે નમૂનારૂપ નવસર્જન થયું. કવિ `તેજ'ના કચ્છના લડાયક મિજાજની પંક્તિઓ ટાંકતાં તેમણે ઉમેર્યું કે, કચ્છીઓનાં પુરુષાર્થ અને સરકારના સબળ સહયોગે અદ્ભુત નવસર્જન થયું. સેવાભાવી અગ્રણી લીલાધરભાઇ ગડા `અધા'25 વર્ષ પૂર્ણ થયાનું યાદ કરાવીને ઉમેર્યું કે, તેમાંથી કાર્યક્રમ, કોફી ટેબલ બુકનો વિચાર જન્મ્યો અને કચ્છમિત્રની ટીમે `ધ્રૂજારી' કોફી ટેબલનાં રૂપમાં કંડારી હતી. - સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન : અગાઉ કાર્યક્રમમાં ઉપસ્થિત થતાં મુખ્યમંત્રીનું સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા, ટ્રસ્ટીઓ પ્રણવભાઈ અદાણી, સંજયભાઇ દામજીભાઇ એન્કરવાલા તેમજ અતુલભાઇ દામજીભાઇ એન્કરવાલાના હસ્તે આવકાર અને સન્માન થયું હતું. કચ્છમિત્ર પરિવારા દ્વારા ઉપસ્થિત રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, કાંતિભાઇ અમૃતિયા તેમજ ધારાસભ્યો અને વિવિધ આગેવાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકાર વક્તા જય વસાવડાએ જકડી રાખતી શૈલીમાં કહ્યું કે, વેદના અને કંપનમાંથી જ નવનિર્માણના ઇતિહાસમાં દાખલાઓ છે, જેમાં કચ્છ ઉમેરાયું છે. આ સાથે કાર્યક્રમનું સંચાલન રેશ્માબેન ઝવેરીએ કર્યું હતું. પ્રહર વોરા- સંપદા વોરાના સંગીત કાર્યક્રમનું સંચાલન પાર્થ તારપરાએ કર્યુ હતું.  - મુખ્યમંત્રી દ્વારા અદાણી અને એન્કર જૂથના મોવડીઓનું સન્માન : આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા કચ્છના વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપવા બદલ અદાણી જૂથના એગ્રો ઓઇલ અને ગેસના મેનેજિંગ ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રણવભાઇ અદાણી અને અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઇ શાહનું તેમજ એન્કર જૂથના મોવડીઓ સંજયભાઇ એન્કરવાલા (સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી) અને અતુલભાઇ એન્કરવાલાનું વિશેષ સન્માન કર્યું. રોજગાર પ્રભારી રાજ્યમંત્રી કાંતિભાઇ અમૃતિયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd