• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

છારીઢંઢ સરોવરમાં યાયાવર પક્ષીઓનો કુંભમેળો

ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી, તા. 24 : એક  બાજુ હવે ઠંડી પોતાની પક્કડ કચ્છમાં જમાવે છે ત્યારે ધોરડો પાસેના રણોત્સવમાં પ્રવાસીઓ ઉમટયા છે ત્યારે દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ માટે કચ્છનું મનપસંદ સ્થળ છારીઢંઢ સરોવર હોવાથી આવા વિદેશી પક્ષીઓઁ માઈલોના પંથક કાપી જાણે અહીં કુંભ મેળો લાગ્યો હોય તેવા મનમોહક દૃશ્યો જોવા મળે છે અને મોટી સંખ્યામાં પક્ષીઓએ અહીં રોકાણ કરી નાખ્યું છે. કચ્છના ખાસ કરીને નખત્રાણા તાલુકાના મોટી વિરાણી નજીક નાની બન્નીના ઢંઢ સરોવર વિસ્તારમાં છીછરા પાણી મોટા પ્રમાણમાં પાણી સાથે ઊભેલા ઘાસીયા મેદાન  વિદેશીઓને પસંદ છે અને સૈકાઓથી આ ઢંઢ સરોવર વિસ્તારમાં લાખોની સંખ્યામાં કુંજ છેક સાઈબેરિયાથી લાંબો પંથ કાપીને આવે છે. નાની બન્નીમાં કુંજ ખોરાકમાં ધામુરના ઘાસના મુડના બીજ (દાણા) ખાસ ખોરાક છે તો મસ્કતી લટોરો પણ બન્નીમાં જારમાં થતા એક જાતની મક  આરોગવા ખાસ આવે છે. વધુ વિગતો આપતા વનરક્ષક ધીરજભાઈ વાઘેલાએ કહ્યું હતું કે, પક્ષીઓની જાતમાં મોટો ઘુવડ, સ્વાઈડો ઘુવડ, શાહીન ગ્રેટ વ્હાઈટ પેલેકીન (પેણ), ચોટીલો પેણ, મોટા હંજ, નાના પેણ, ગજપાલ, ગાજહંસ, નાનો તેજપર, ભગતડુ, પાનપઢાઈ, કાળો જુમ્મસ, જળમુરઘો, કુંજ, સોનેરી બાટણ, સુરખાબ, પીળી ચાંચ ઢોંક, ઉલ્ટી ચાંચ, નાનો કલકલિયો, કબુત બગલો, નવી બગલો તથા બતક જેવા 200થી 250 પ્રજાતિના દેશવિદેશના પક્ષીઓ ઢંઢ સરોવર તેમજ તેની આજુબાજુ વિસ્તાર સરોવરમાં પડાવ નાખ્યો છે. ઢંઢ સરોવર ભગાડિયા, કુંજવારો, કિરા ડુંગર પાસેના વિસ્તારોમાં જોવા મળે છે. પાણી સુકાયા બાદ તમામ પક્ષીઓ જે પાણી ઉપર નિર્ભર રહે છે. જે છારીઢંઢ વિસ્તારનો પાણી ખોરાક અને પાણી માટે એકમાત્ર સ્થળ બની રહે છે. માર્ચ પછી ખોરાક માટે અહીં આ ઢંઢ સરોવર વિસ્તાર પર નિર્ભર રહે છે. પોરેગ્રીન ફાલ્કન નામનો વિદેશથી આવતા પક્ષી 390 કિ.મી.ની ઝડપે ઉડતાં વિશ્વના એકમાત્ર પક્ષી છે. આ પક્ષી જમીન અને પાણી ઉપર ઊડી શકે છે એવું શ્રી વાઘેલાએ કહ્યું હતું. આમ, દેશવિદેશના અસંખ્ય પક્ષીઓના આગમનથી આ ઢંઢ સરોવર વિસ્તારમાં પક્ષીઓનો `કુંભમેળો' જામ્યો છે. 

Panchang

dd