• રવિવાર, 25 જાન્યુઆરી, 2026

આજે અજેય સરસાઇના ઈરાદે ઊતરશે ટીમ ઇન્ડિયા

નવી દિલ્હી, તા. 24 : ન્યૂઝીલેન્ડ સામે ભારતે પહેલી બે ટી-20 મેચ સરળતાથી જીતી ગયા બાદ હવે શ્રેણીની ત્રીજી ટી-20 મેચે ગુવાહાટીમાં રમાવાની છે. ભારતીય ટીમ ગુવાહાટીમાં રમાનારી ત્રીજી ટી-20 મેચમાં જીત મેળવીને પાંચ મેચની શ્રેણીમાં અજેય સરસાઇ મેળવવાની કોશિશ કરશે. જેમાં સંજુ સેમસનના પ્રદર્શન ઉપર ખાસ નજર રહેશે. ભારતે ગત મેચમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત માટે મળેલું 209 રનનું લક્ષ્ય સરળતાથી પાર પાડી દીધું હતું. હવે ગુવાહાટીમાં પણ ભારતીય ટીમ પોતાની લયને જાળવી રાખવા માટેનો પૂરતો પ્રયાસ કરશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ દ્વારા શ્રેણી જીવંત રાખવા માટે મહેનત કરવામાં આવશે. ટી-20 વિશ્વકપ શરૂ થવાને હવે માત્ર બે સપ્તાહનો સમય બચ્યો છે અને આ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે બાકી બચેલી ત્રણ ટી-20 મેચ રમવાની છે. તેવામાં ભારતીય ટીમનું સંયોજન ઘણા અંશે નક્કી લાગી રહ્યું છે. ભારત બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. માત્ર અમુક સ્થળે જ ટીમ ચિંતિત હશે. જેમાં એક સ્થાન સેમસન પાસે છે. ભારતીય ટીમ માટે સંજુ સેમનનું ફોર્મ ચિંતાની વાત છે. ચાલુ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસન પાંચ વખત સસ્તામાં આઉટ થયો હતો. જેમાં જોફ્રા આર્ચર સામે સતત ત્રણ વખત આઉટ થવું સામેલ છે.  મેચમાં મિચેલ સેંટનરની આગેવાનીની ટીમ અમુક રણનીતિક બદલાવ ઉપર વિચાર કરી શકે છે. તે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ડેરિલ મિચેલને ઉપલા ક્રમમાં બેટિંગ માટે મોકલી શકે છે. ન્યૂઝીલેન્ડની સામાન્ય રીતે મજબૂત ગણાતી ફિલ્ડિંગ આ વખતે નિરાશાજનક રહી છે. શ્રેણીની ત્રીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. જે સાંજે સાત વાગ્યે શરૂ થશે.  

Panchang

dd