પ્રયાગરાજ,
તા. 19 : પ્રયાગરાજ માઘમેળામાં શંકરાચાર્ય
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ધરણા ચાલુ રહ્યાં હતાં. ગઈકાલે મૌની અમાસના સંગમ પર
શાહી સ્નાન વખતે પાલખી એટલે કે રથયાત્રા રોકવાના વિરોધમાં પોલીસે તેમને જ્યાં
છોડયા હતા તે જ સ્થળ પર શંકરાચાર્ય ધરણા પર બેસી ગયા હતા. તેઓ પોતાના પંડલામાં આખી
રાત ઠંડીમાં ધરણા પર રહ્યા હતા. છેલ્લા પચ્ચીસ કલાકથી અન્નજળ ત્યાગીને શંકરાચાર્ય
ધરણા કરી રહ્યા છે. તેમણે આજે બપોરે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે
જ્યાં સુધી વહીવટીતંત્ર આવીને માફી નહીં માગે, ત્યાં સુધી આશ્રમમાં પ્રવેશ કરીશ નહીં,
ફૂટપાથ પર જ રહીશ. તેમણે જણાવ્યું હતું કે શંકરાચાર્ય જ્યારે પણ
શાહીસ્નાન માટે આવ્યા છે ત્યારે પાલખીમાં જ ગયા છે. દરેક વર્ષે આ જ પાલખીમાં જતા
આવ્યા છે. અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર
સન્માન અને પ્રોટોકોલ સાથે તેમને લઈ નહીં જાય, ત્યાં સુધી
તેઓ ગંગાસ્નાન કરશે નહીં. તેઓ દર વર્ષે પ્રયાગરાજ આવશે પરંતુ ક્યારેય શિબિરમાં
નહીં રહે, ફૂટપાથ પર જ નિવાસ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.