ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામની
સીમમાં વાડીમાં આગ લાગતાં અનેક ઝાડ, સોલાર સિસ્ટમ, ટપક પદ્ધતિ, ગેસ
પ્લાન્ટ વગેરે સળગી ગયા હતા. બનાવ અંગે એક શખ્સ સામે શંકા દર્શાવાઇ હતી. ચાંદ્રાણીના
રાજીવનગરમાં રહેનાર હરિલાલ મેમા હુંબલ (આહીર)
ગામની સીમમાં વાડી ધરાવે છે. તા. 13/4ના બપોરે તેમના ભાઇ શંભુ હુંબલને ફોન કરી વાડીના શેઢે આગ લાગ્યાની
જાણ કરી હતી, ત્યારે ત્યાં કરણ રબારી
પણ હતો. આ શખ્સ કચરો સળગાવતો હતો ત્યારે આગ
લાગી હોવાનું કહી પોલીસ આવતાં ત્યાંથી પોતે
કરણ નાસી ગયો હતો. બાદમાં અંજાર અગ્નિશમન દળે પાણીનો મારો ચલાવી સાંજે આગને કાબૂમાં
લીધી હતી. આગના બનાવથી કેળા, જાંબુ, સેતૂર,
પીલુડી, લીમડા, ખિજડા,
આંબા, ખજૂરી, સરગવો વગેરે
ઝાડ તથા સોલાર સિસ્ટમ, ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ, ગોબર ગેસ પ્લાન્ટ, વરિયાળી 320 કિલો, જીવસૃષ્ટિ
તથા ઓર્ગેનિક કાર્બન વગેરે સળગી ગયું હતું. જેના કારણે રૂા. 5,36,600ની નુકસાની થઇ હતી. આ મંગા
રબારી અને ફરિયાદીની તકરાર ચાલુ હોવાથી દેવા રબારી પાસે કામ કરનાર કરણ રબારીએ તેનું
મનદુ:ખ રાખી આગ લગાડી હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું.