કોંગ્રેસના 140મા સ્થાપના દિનના એક દિવસ પહેલાં પક્ષની કાર્યકારિણીની બેઠકમાં
વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં પક્ષનું
સંગઠન નબળું હોવાની વાત સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા. ભૂતકાળમાં દિગ્ગીરાજા
ઘણીવાર બોલાવામાં બફાટ કરી ચૂક્યા છે, પણ આ વખતે તેમણે કરેલી
વાત અને સરખામણી સાથે શશી થરૂર પણ સહમત થયા છે. હાઈકમાન સામે 2019માં માથું ઊંચકનારા જી-23 બાદ આ બીજો પ્રસંગ છે જ્યારે
પક્ષના નેતાઓએ પોતાનાં મનની વાત મોકળાશપૂર્વક રજૂ કરી છે. ત્યારની અને અત્યારની કોંગ્રેસની
પરિસ્થિતિમાં બહુ ફરક પડ્યો નથી. એ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માથાભેર પટકાયો
હતો, રાહુલ ગાંધીએ પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું
આપી દીધું હોવા છતાં પક્ષ તેઓ જ ચલાવી રહ્યા હતા. આ પરિસ્થિતિ જોતાં પક્ષના જૂના જોગીઓએ
સોનિયા ગાંધીને પત્ર લખી સંગઠનને મજબૂત કરવા માટેનાં સૂચનો કર્યાં હતાં. આ પત્રથી એ
વખતે જેવો ધરતીકંપ મચ્યો હતો, તેની સરખામણીમાં દિગ્વિજય સિંહનું
વિધાન તો હળવો આંચકો છે. જી-23ના નેતાઓમાંથી અનેક આજે પક્ષમાં નથી, જે રહી ગયા છે, તેમની
વ્યથા અકબંધ છે અને પક્ષની સ્થિતિ છ વર્ષ પહેલાં હતી એના કરતાં વધુ કથડી છે. દિગ્વિજય
સિંહે કોંગ્રેસની બીમારી તરફ જ આંગળી ચીંધી છે, આવું જ નિદાન
જી-23ના નેતાઓએ પણ કર્યું હતું. રાહુલ ગાંધી
હાલમાં જ સંસદના ચાલુ સત્રના છેલ્લા પાંચ દિવસ જર્મનીમાં હતા. જી-23ના નેતાઓએ સોનિયાજીને એ વખતે ફરિયાદ કરી
હતી કે, પક્ષને પૂર્ણ સમયના અધ્યક્ષની જરૂર છે. આ ઉપરાંત
તેમણે કરેલાં સૂચનોનો સૂર સંગઠનને મજબૂત બનાવવા તરફી હતો. સોનિયાજીએ આ જૂથના નેતાઓને
10, જનપથ ચર્ચા માટે બોલાવ્યા અને
પાંચેક કલાક ચાલેલી આ બેઠક સંગઠનને સુદૃઢ કરવા પગલાં લેવાશે એ વાતની ખાતરી અપાતાં જી-23 વિખેરાઈ ગયું. એ પછી ઉદયપુરમાં
કોંગ્રેસના અધિવેશનમાં આ વિષય પર ચર્ચા થઈ, ઠરાવ પસાર કરાયા અને છતાં છ વર્ષ પછી પક્ષ ઠેરનો ઠેર છે. મલ્લિકાર્જુન ખડગે
પક્ષ અધ્યક્ષ ચૂંટાયા અને રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર નીકળ્યા, જેમાં ભીડ ઊમટી પણ સંગઠન મજબૂત થવાનું કે ચૂંટણીમાં વિજય મેળવવાનું શક્ય ન
બન્યું. ટૂંકમાં, જૈસે થે, જહાં થેની સ્થિતિ
આજે પણ છે.