નલિયા, તા. 2 : સોલાપુર ખાતે આયોજિત પ્રતિષ્ઠિત
ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ આઈટીએફ ડબલ્યૂ-35માં ભારતીય ટેનિસ ખેલાડી વૈદેહી ચૌધરીએ શાનદાર પ્રદર્શન કરતાં
વિજેતાનો તાજ પહેર્યો છે. આ ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલ મેચમાં વૈદેહી ચૌધરીનો મુકાબલો
જાપાનની નામાંકિત ખેલાડી મીચીકા ઓઝેકી સામે થયો હતો,
જેમાં રસાકસીભર્યા જંગના અંતે વૈદેહીએ 3-6, 6-3, 6-4થી જીત મેળવી હતી. વૈદેહીની
આ ટૂર્નામેન્ટની સફર પ્રભાવશાળી રહી હતી, જેમાં તેણે પ્રથમ રાઉન્ડમાં ભારતીય ખેલાડી સોહા સાદિકને 6-1, 6-1થી, બીજા રાઉન્ડમાં રશિયન ખેલાડી મારિયા કાલ્યાકિનાને
3-6, 6-2, 7-5થી અને ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાંસની
સેનિયા ઈફ્રોમોવાને 4-6, 6-4, 7-5થી હરાવી હતી. ત્યારબાદ સેમિફાઈનલમાં ભારતીય ખેલાડી વૈશ્ણવી
અડકરને 6-4, 6-2ના સીધા સેટમાં પરાજય આપી તેણે
ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વૈદેહી કચ્છના જખૌ સેક્ટર ખાતે મરીન ટાસ્ક ફોર્સમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા
આર.એમ. ચૌધરીની પુત્રી છે.