ભુજોડી
(તા. ભુજ), તા. 24 : અહીંના
કચ્છ મેઘમારૂ વણકર શૈક્ષણિક અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત મેઘમારૂ વિદ્યાર્થી ભવન
ખાતે કાર્બન એજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની રૂપિયા 17.50 લાખની માતબર રકમમાંથી નિર્માણ પામેલી `ધ્યેય સિદ્ધિ રાડિંગ લાયબ્રેરી'નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
પ્રારંભે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારારોપણ બાદ લાયબ્રેરીનું ઉદ્ઘાટન કચ્છના
કલેક્ટર અનિલભાઈ રાણાવસિયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં
જણાવ્યું કે, જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે, શિક્ષણ વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે અને વાંચનની ટેવ વ્યક્તિને નવા વિચારો,
નવી દિશા તથા ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. કાર્બન એજ ઇન્ડસ્ટ્રીઝ
લિ.ના પૂર્ણકાલીન ડાયરેક્ટર અનુરાગભાઈ ખન્નાએ સંબોધનમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ આ લાયબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરીને જ્ઞાનમાં વધારો કરે અને પોતાના
જીવનના સર્વાંગી વિકાસ માટે વાંચનને જીવનનો અભિન્ન ભાગ બનાવે. એગ્રોસેલ કંપનીના ડાયરેક્ટર
દીપેશભાઈ શ્રોફે જણાવ્યું કે, શિક્ષણ જ વ્યક્તિને સફળતાના શિખરો
સુધી પહોંચાડવાનું સૌથી અસરકારક સાધન છે. આ કાર્યક્રમમાં આશાપુરા કંપનીના હરીશભાઈ હુડમડે,
વિરેન ગોર, મામલતદાર એમ.ડી. માલી, કાર્બન એજ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ભાવિનભાઈ બક્ષી, પી.આઈ.
અનિલભાઈ પરમાર, સમાજ કલ્યાણ અધિકારી શાંતિલાલ પ્રજાપતિ તેમજ ઉગમણા-પરગણા
પ્રમુખ શિવજીભાઈ મંગરિયા, માવજીભાઈ આહીર સહિત અનેક મહાનુભાવો,
ટ્રસ્ટીઓ, આગેવાનો, દાતાઓ
અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ લાયબ્રેરીનાં
પુસ્તકો માટે ધનજી કરશન વરસાણીએ એક લાખ રૂપિયા દાન આપ્યું હતું. આશાપુરા કંપનીએ 30 ખુરશી આપી હતી. આ પ્રસંગે સમાજના પીઢ આગેવાન
અને આ સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ વેલજીભાઈ રાજાભાઈ મંગરિયા અને વિશ્રામભાઈ વાલજીભાઇ સીજુને
કલેક્ટર દ્વારા સન્માનિત કરાયા હતા. તમામ મહેમાનોનું સન્માન શાલ અને સૂતરની આંટીથી
સંસ્થાના પ્રમુખ પ્રેમજી મંગરિયા, મંત્રી ભરતભાઈ બળગા, ઉપપ્રમુખ રમેશભાઈ
સીજુ, ખજાનચી તેજપાલ લોંચાણી, સહમંત્રી
શંકર કુંવટ, માસ્ટર કલા વિકાસ ટ્રસ્ટના મંત્રી નાનજી ખરેટ,
અરજણ સીજુ, ગાવિંદ વણકર, મેઘમારૂ વિદ્યાર્થી ભવનના ગૃહપતિ હેમંતકુમાર મંગરા વગેરે દ્વારા કરવામાં આવ્યું
હતું. આ પ્રસંગે વિશાલ મિશ્રા, જેઠાલાલ મંગરિયા, ગાવિંદ મંગરિયા, ગાવિંદ માલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાનો પરિચય અને સ્વાગત પ્રવચન સંસ્થાના
પ્રમુખ પ્રેમજી મંગરિયા અને આભારવિધિ માસ્ટર કલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ગાભુભાઈ વણકરે
કર્યા હતા. સંચાલન સંસ્થાના મંત્રી ભરતભાઈ બડગાએ કર્યું હતું.