નખત્રાણા, તા. 24 : મહેસૂલી તંત્રના વાંકે વિવાદના વંટોળે ચડેલી
ઉગેડી ગામની ગૌચર જમીનની લીઝનો હુકમ રદ કરવા માંગ સાથે નખત્રાણા પ્રાંત અધિકારી કચેરીએ
ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અપાયું હતું.
તાલુકાના ઉગેડી ગામે ખાનગી કંપનીને ગૌચર જમીન 14 માસ અગાઉ લીઝ પર અપાતાં મહેસૂલી તંત્રની ભૂલનાં કારણે સીઝ થયેલી ગૌચર જમીનનો
મુદ્દો વધુ ઉગ્ર બન્યો હતો. કંપનીએ સદરહુ વિવાદી
જમીન પર કામકાજ બંધ રાખવા તેમજ તંત્ર દ્વારા લીઝ કરાયેલી જમીન હુકમ રદ કરવાની માંગ
સાથે ઉગેડીના સરપંચ કરણભાઈ રબારી, ઉપસરપંચ ભૂપતસિંહ સોઢા, પંચાયત સદસ્યો
ડાયાલાલ પટેલ, રફીક કુંભાર, નીતિન વાઘેલા,
રજનીકાંત પંડયા, પરસોત્તમ વાઘેલા, વેરશી રબારી, ઈસ્માઈલ સુમરા, પબાભાઈ
આહીર, માલા ડુંગર રબારી, રાજેશપુરી,
સલીમભાઈ ખલીફા સહિત 50 જેટલા ગામના વિવિધ સમાજના આગેવાનો પ્રાંત કચેરીએ ના. કલેકટરને આવેદનપત્ર સુપરત
કર્યું હતું. ન્યાય નહીં મળે તો ગૌચર જમીન બચાવવા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી
પત્રમાં ચીમકી અપાઈ છે.