• રવિવાર, 26 જુલાઈ, 2026

અંજારમાં વીજશોકથી સાત પશુઓના મોતથી અરેરાટી : વીજતંત્રની કામગીરી સામે સવાલો

અંજાર, તા. 24 :  શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજતંત્ર ધ્વારા લોકો અને પશુઓની સુરક્ષા મુદે બેદરકારીની ફરીયાદો સમયાંતરે સપાટી ઉપર આવી છે. ત્યારે  શહેરના ગંગાનાકા વિસ્તારમાં  વીજશોક  લાગવાથી  સાત પશુઓના  મૃત્યુ થયુ હતું. આ બનાવને લઈને  જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રવર્તી હતી. સ્થાનિકોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે ગંગાનાકાના વંથાણચોકમાં વીજપોલમાંથી કરંટ આવતા એક સાથે પાંચ  ગૌવંશના મૃત્યુ થયા હતા.તેમજ આ બનાવના  થોડા સમય બાદ વધુ બે ગૌવંશને વીજકરંટ ભરખી ગયો હતો. દરવર્ષે સ્થાનિક વીજતંત્ર ધ્વારા પ્રીમોન્સુન કામગીરી ના નામે કલાકો સુધી વીજપુરવઠો ખોરવીને  કામગીરી કરાતી હોવાનો દાવો કરવામાં આવે છે. તેમ છતાં  આ કામગીરી ઉડીને આંખે દેખાતી નથી. તંત્ર ધ્વારા વીજલાઈનો,પોલ અને અર્થિંગ વ્યવસ્થાની સમયસર ચકાસણી તથા જાળવણી કરવામાં આવી હોત  તો અબોલ પશુઓની જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હતો.તંત્રની આ પ્રકારની બેદરકારી  વીજસલામતી મુદે સવલો ઉભા કરે છે તેવુ લોકોએ જણાવ્યુ હતું. નોંધાપાત્ર છે કે  શહેર વિસ્તારમાં અગાઉ વીજ ટ્રાન્સફોર્મરમાં ઘડાકા થવા, આગ લાગવી સહિતની ઘટનાઓ સમયાંતરે બની છે.તેમ છતાં  વીજતંત્ર ધ્વારા આ ઘટના ઉપર થી બોધપાઠ લીધો ન હોવાનુ વર્તમાન સ્થિતિ ચાડી ખાઈ રહી છે. ગૌવંશના મૃત્યુ અંગે ઉચ્ચકક્ષાના અધિકારીઓ ધ્વારા તપાસ કરી સંબંધિતો સામે કાર્યવાહી કરવામાં આવે  તેવી માંગ જીવદયાપ્રેમીઓએ કરી હતી.દરમ્યાન દેવળીયાનાકાના બાયડ ફળીયામાં  બપોરે 12 વાગ્યા થી  જીવતો વીજવાયર તુટયો હતો.તેમ છંતા  વીજતંત્રનો એક પણ અધિકારી  અહી ન ડોકાયો હોવાની રાવ સાથે સ્થાનિક મહિલાઓએ  સાંજે વીજકચેરી ખાતે ઉગ્રરજૂઆત કરી હતી. તંત્રની આ પ્રકારની બેદરકારીથી લોકોના જીવ જોખમમાં હોવાના  આક્ષેપો ઉઠયા હતા.  

Panchang

dd