મુંદરા,બેંગ્લુરુ,
તા. 17 : ભારતની સૌથી
ઝડપી વિકસતી પ્રાદેશિક એરલાઇન અને સંજય ઘોડાવત ગ્રુપની ઉડ્ડયન શાખા સ્ટાર એરએ ગુજરાત
કચ્છના મુંદરા માટે શિડયુલ્ડ કોમર્શિયલ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એરલાઇનના તેના દેશમાં વિસ્તરતા નેટવર્કનું
32મું સ્થળ છે. મુંદરાથી 23 જૂન, 2026થી વિવિધ
આઠ શહેરને જોડતી ઉડ્ડયન સેવાઓ શરૂ કરવાની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. નવી સેવાઓ
માટેનું બાકિંગ સ્ટાર એરની વેબસાઇટ, ટ્રાવેલ એજન્ટો અને તમામ મુખ્ય બાકિંગ પ્લેટફોર્મ દ્વારા ખુલ્લું મુકાઇ ચૂક્યું
છે. ભારતના બાકી રહેલા મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્રો સાથે જોડવાની સ્ટાર એરની
પ્રતિબદ્ધતા આ ઉડ્ડયનથી વધુ મજબૂત બનશે. ભારતના સૌથી મોટા ખાનગી વાણિજ્યિક અને કન્ટેનર
બંદરને હવાઈ જોડાણનો લાભ મળશે. સત્તાવર યાદી મુજબ, સ્ટાર એરની
નવી ફ્લાઇટ સેવાઓ મુંદરાને મુંબઈ ((BOM),હિન્દોન (દિલ્હી NCR) (HDO), ગોવા (GOX),સુરત (STV)બેલાગવી (IXG), બેંગ્લુરુ (BLR), કોલ્હાપુર (KLH) અને નાંદેડ (NDC) સાથે જોડશે. એરલાઇન મુંબઈ અને
મુંદરા વચ્ચે પાંચ સીધી સાપ્તાહિક ફ્લાઇટ્સ ચલાવશે,
જેમાં મંગળ, ગુરુ, શુક્ર,
શનિ અને રવિવારે ઉપડશે. વધુમાં, દર અઠવાડિયે ત્રણ
સીધી ફ્લાઇટ્સ મુંદરાને હિન્દોન (દિલ્હી NCR) સાથે જોડશે, જે મંગળ, ગુરુ અને શનિવારે કાર્યરત રહેશે. આરંભ પહેલાં
ટીપણી કરતાં સ્ટાર એરના સીઇઓ કેપ્ટન સિમરનાસિંહ તિવાનાએ જણાવ્યું હતું કે, `અમારાં નેટવર્કમાં ઉમેરાતું દરેક નવું સ્થળ
અમારા વિશ્વાસને પ્રતાબિંબિત કરે છે. ભારતના સૌથી મોટાં ખાનગી વાણિજ્યિક બંદર મુંદરાથી
સેવાઓની શરૂઆત એ વિશ્વસનીય અને સસ્તી હવાઈ મુસાફરી દ્વારા પ્રાદેશિક કનેક્ટિવિટીને
મજબૂત બનાવવાની સ્ટાર એરની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ
લિ.ના સીઈઓ અરુણ બંસલે જણાવ્યું કે, `અમે મુંદરાથી સ્ટાર એરની ફ્લાઇટ્સ શરૂ કરવાને
આવકારીએ છીએ. જે કચ્છનાં હવાઈ જોડાણને મજબૂત બનાવવામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ
છે. જે સ્થાનિક પર્યટન, વેપાર અને
આર્થિક વિકાસને વેગ આપશે. સીધી ફ્લાઇટ્સ ઉપરાંત, વન-સ્ટોપ કનેક્શન્સની
શ્રેણી સાથે પ્રાદેશિક કનેક્ટિવિટીમાં વધારો કરાઇ રહ્યો છે. મુસાફરો હવે મુંબઈ અને
હિન્દોન (દિલ્હી NCR) વચ્ચે દર
મંગળ, ગુરુ અને શનિવારે મુંદરા થઈને એક-સ્ટોપ ફ્લાઇટ
ચલાવશે. સુરત અને ગોવા વચ્ચે જનારા મુસાફરો મંગળથી શુક્ર તેમજ શનિવારે મુંદરા થઈને
એક-સ્ટોપ કનેક્શનનો લાભ મેળવી શકે છે. બેંગ્લુરુ
અને મુંદરા વચ્ચે મંગળથી શુક્ર સુધી ગોવા દ્વારા વન-સ્ટોપ ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. મુંદરાથી
નાંદેડ સુધીના જોડાણો મંગળવારથી શુક્રવાર સુધી ગોવા દ્વારા પણ ઉપલબ્ધ છે, જ્યારે નાંદેડથી મુન્દ્રા સુધીની પરત ફ્લાઇટ્સ શનિવારે કાર્યરત છે. વધારાના વન-સ્ટોપ વિકલ્પોમાં અઠવાડિયામાં પાંચ દિવસ
મુંબઈ દ્વારા કોલ્હાપુર અને મુન્દ્રાને જોડતી ફ્લાઇટ્સ અને મંગળ, ગુરૂ, શુક્ર, શનિ અને રવિવારે મુન્દ્રાથી
બેલાગવી સુધીની સેવાઓનો સમાવેશ થાય છે.