ભુજ, તા. 13 : માધાપર નળવાળા સર્કલ પાસે નર્મદાના
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. મુખ્ય માર્ગો ઉપર
પાણી ફરી વળતાં નાના બાળકોએ ભરાયેલા પાણીમાં ડૂબકી લગાવીને મોજ કરી હતી. બપોરે બે વાગ્યાની
આસપાસ નર્મદાની લાઈનમાં એકાએક ખોટીપો સર્જાતાં હજારો લિટર પાણી રસ્તાઓ પર વહી નીકળ્યું
હતું. લાઈનમાં મોટી જગ્યામાં ગરબડ થતાં પાણી આજુબાજુના વિસ્તારમાં વરસાદના પાણીની માફક
વહી નીકળ્યાં હતાં. પાણીની ઝડપ એટલી હતી કે, જોતજોતાંમાં સ્વામિનારાણ નગરમાં પાણી પહોંચી ગયાં હતાં. એક બાજુ ભુજ શહેરમાં
છેલ્લા છ-સાત દિવસથી ઘરોનાં નળમાં પાણી નથી આવતાં બીજી બાજુ નર્મદાના હજારો લિટર પાણીનો
વેડફાટ થતાં લોકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. દરમ્યાન નગરપાલિકા પ્રમુખ
શિતલ શાહે જણાવ્યું કે, સુધરાઈની ટીમે તત્કાળ સ્થળે પહોંચી દોઢ
કલાકમાં લાઈન રિપેર કરી પુરવઠો પૂર્વવત કરાવ્યો
હતો.