• શનિવાર, 27 જુલાઈ, 2024

15થી 45 વયજૂથના યુવાઓનું નિ:શુલ્ક લોહી પરીક્ષણ

ભુજ, તા. 23 : રોગને હંમેશાં ઊગતો ડામી દેવો જોઇએ. હૃદયરોગ અને ડાયાબિટીસે વ્યાપક રીતે સકંજો જમાવ્યો છે. નાની વયે હૃદયઘાતમાં મૃત્યુના કિસ્સાઓ ચોંકાવનારી હદે વધી ગયા છે, ત્યારે આજની યુવા પેઢીનું સારું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવાની સાથે હૃદયરોગના સંભવિત ખતરા સામે સાવધ કરવાની જરૂર છે. સુવિખ્યાત કાર્ડિલોજિસ્ટ ડો. રમેશ કાપડિયા `હૃદયરોગ મુક્ત સમાજ'નાં લક્ષ્ય સાથે હંમેશાં વાતની હિમાયત કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયાએ પણ થોડા સમય પહેલાં `પ્રોજેક્ટ રોશની'ના કાર્યક્રમમાં રોગને આવતા અટકાવી દેવા-પ્રિવેન્ટિવ કામગીરીની હાકલ કરી હતી. સમયની જરૂરિયાતને સમજીને શાંતિનિકેતન ફાઉન્ડેશન તથા કચ્છમિત્રએ કચ્છના કિશોર અને યુવા પેઢીનું તંદુરસ્ત ભવિષ્ય સુનિશ્ચિત કરવા હાથ મિલાવ્યા છે. જે અંતર્ગત 15થી 45 વર્ષના વયજૂથના લોકોને નિ:શુલ્ક લેબોરેટરી ટેસ્ટ કરાવી આપવામાં આવશે. શાંતિનિકેતન ફાઉન્ડેશનના યોગેશ દોશી અને અશોક દોશીએ જણાવ્યું કે, કાર્ડિયોલોજિસ્ટ ડો. કાપડિયા યુવાવર્ગમાં વધતા હૃદયરોગથી ખૂબ ચિંતિત છે. પ્રકારની પહેલ કરનારો કચ્છ ભારતનો પ્રથમ જિલ્લો બનશે. ભારતનું યુવાધન વિશ્વની શક્તિ છે. તંદુરસ્ત ભારતનું સપનું સાકાર કરવાની દિશામાં પહેલ બીજા જિલ્લાઓને પ્રેરણા આપશે. ડો. કાપડિયા તેમના પાસે આવતા દર્દીઓના પરિવારના યુવાનો-કિશોરોના બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવવાનો આગ્રહ રાખે છે, જેથી સમયસર નિદાન અને ઉપચાર થઇ શકે. કચ્છના જાણીતા સર્જન અને ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડો. મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે, લોકો સામાન્ય રીતે હૃદયરોગ આવે ત્યારે, બ્લોકેજ થાય ત્યારે જાગતા હોય છે. સમયસર આપણા શરીરની સ્થિતિનો ખ્યાલ હોય તો દવાઓ સાથે સાવધાની સાથે લાંબુ આયુષ્ય ભોગવી શકાય. ડો. રમેશ કાપડિયા કહે છે કે, યુવા વયે પણ તમારું હૃદય કેટલું તંદુરસ્ત છે ? કોલેસ્ટેરોલ (એલડીએલ) વધુ નથીને ? ડાયાબિટીસ નથીને ? પરીક્ષણ અવશ્ય થવા જોઇએ. સમાજ અને આપણે માટે જાગૃત હોઇએ તો હૃદયરોગને ઊગતો ડામી શકાય. તેમાંય જે પરિવારમાં હૃદયરોગ છે પરિવારના યુવાઓએ તો લેબોરેટરી ટેસ્ટ કરાવી લેવા જોઇએ. પ્રકારની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે શાંતિનિકેતન ફાઉન્ડેશન અને કચ્છમિત્ર કચ્છમાં 15થી 45 વયજૂથના ભાઇ-બહેનો માટે નિ:શુલ્ક લેબોરેટરી ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે, જેમાં સાથે દર્શાવેલ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ માટે કુલ ખર્ચ આશરે રૂા. 2500 જેવો થાય તે ટેસ્ટ તમામ યુવાઓ માટે ફ્રી કરી આપવામાં આવશે અને તેનો 50 ટકા ખર્ચ જે-તે મહાજન ભોગવશે અને 50 ટકા ખર્ચ શાંતિનિકેતન ફાઉન્ડેશન ભોગવશે. ભુજ લોહાણા મહાજને પોતાના સમાજ માટે પહેલમાં જોડાવાનું  સ્વીકારી લીધું છે. કચ્છની અન્ય જ્ઞાતિ-સમાજ-સંસ્થાઓ પણ આગળ આવે એવી ડો. કાપડિયા, ડો. ધવલ દોશીએ અપીલ કરી છે. સંસ્થા કે સમાજે આપવાનો ખર્ચ પ્રતિ દર્દી રૂા. 250થી 300 હશે. લોહીની તપાસ દરમ્યાન હૃદયરોગ પકડાશે તો એમના માટે નિષ્ણાત તબીબોના કન્સલટેશનની વ્યવસ્થા વિચારવામાં આવી રહી છે. - હૃદયરોગનો ભય દર્દીને વધુ ડરાવે છે : ઓપરેશન કરવું પડે એવું નથી : સમાજમાં હૃદયરોગ વિશે ખૂબ ઊંડો ભય છે અને હૃદયરોગ કરતાં ભયથી વ્યક્તિ વધારે પરેશાન થાય છે અને હૃદયને વધારે નુકસાન થાય છે. હવે એવો ભય રાખવાની જરૂર નથી, કારણ કે, હૃદયરોગની સફળ સારવાર, સરળ સારવાર અને પરવડે તેવી સારવાર શક્ય છે. બીજી વાત હૃદયરોગ થાય એટલે ઓપરેશન કરાવવું પડે તેવું નથી. નિષ્ણાંત ડોક્ટર તે નક્કી કરી શકે કે ઓપરેશન જરૂરી છે કે નથી. મોટે ભાગે જીવનશૈલી પરિવર્તન અને થોડી દવાઓથી સ્વસ્થ થઈ શકાય છે. ડોક્ટર કાપડિયાએ ચીંધેલી યુનિવર્સલ હાલિંગ પ્રોગ્રામની વાત ઘણી ઉપયોગી છે. પ્રત્યેક પરિવાર જો થોડો સમય કાર્યક્રમ કરી શકે અને આહાર વિહારમાં ધ્યાન રાખે તો હૃદયરોગથી બચી શકાય અને થયો હોય તો પણ સ્વસ્થ રહી શકાય છે. ત્રીજી વાત આપણા શરીર અને મનની એવી શક્તિ છે કે સ્વસ્થ રહી શકે છે અને માંદગી આવે તો શરીર જાતે સ્વસ્થ થવા પ્રયત્ન કરે છે. આપણે તેને સપોર્ટ કરવો જોઈએ. આટલું કરી શકીએ તો ભય, ચિંતા, ખર્ચ બધાથી બચી શકાય છે. ઓપરેશન વિના પણ હૃદયરોગથી મુક્ત થઈ શકાય છે અને તેની સારવાર સૌને પરવડે તેવી હોય છે. - રમેશ સંઘવી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang