અંજાર, તા. 5 : અહીંની નગરપાલિકા દ્વારા દેવળિયા નાકા પબ્લિક પાર્ક પાછળ
આવેલ જાહેર માર્ગ પર સરકારી જમીન ઉપર વર્ષોથી થયેલાં પાકાં દબાણ બુલડોઝર ફેરવી કિંમતી જમીન ખુલ્લી કરાવી હતી. શહેરના દેવળિયા નાકાથી ભરેશ્વર
મહાદેવ મંદિર તરફ જતા માર્ગ ઉપર સરકારી જમીન પર દબાણકારોએ છ જેટલી દુકાન બાંધી ગેરકાયદેસર
દબાણ કર્યું હતું. નગરપાલિકા દ્વારા આ દબાણકર્તાઓને જાહેર નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ જેસીબી અને ટેક્ટર ટ્રોલી સાથે
પાકી છ દુકાનને તોડી પાડવામાં આવી હતી. ચીફ
ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધીક્ષક
રશ્મિનભાઈ ભીંડેના માર્ગદશન તળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. નોંધપાત્ર છે કે, શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણની બદીએ માથું
ઊંચક્યું છે. પાલિકા દ્વારા દબાણ દૂર કરવા
માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી અતિક્રમણો દૂર કરાય તેવી સમયની માંગ છે.