તેહરાન/વોશિંગ્ટન, તા. 5 : ઇરાનના સુપ્રીમ
લીડર આયાતોલ્લાહ અલી ખોમેનીની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તેમના ત્રણ પુત્રે નમાજ-એ-જનાજાની વિધિ કરી હતી. તેમના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી
સંખ્યામાં લોકો ઊમટતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક ટિપ્પણી કરી છે. ટ્રમ્પે
દાવો કર્યો કે, અમેરિકા ઇચ્છે તો ઈરાનના
ટોચના નેતૃત્વને એક જ હુમલામાં ખતમ કરી શકે છે. જો કે, તેમણે
સાથે એમ પણ કહ્યું કે, અમેરિકા હાલ સંવાદનો માર્ગ ખુલ્લો રાખવા
માગે છે. ટ્રમ્પના નિવેદન બાદ ઈરાન તરફથી પણ તીખો જવાબ આપવામાં આવ્યો છે. અમેરિકી મીડિયા
સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ઈરાનના અનેક
ટોચના નેતાઓ હાલમાં પૂર્વ સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખોમેનીના અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં
એકસાથે હાજર છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા પાસે એવી ક્ષમતા
છે કે, જો તે ઇચ્છે તો એક જ હુમલામાં સમગ્ર ટોચના નેતૃત્વને નિશાન
બનાવી શકે. જો કે, તેમણે ઉમેર્યું કે, અમેરિકા
હાલ એવો કોઈ પગલું ભરવા માગતું નથી, કારણ કે, ભવિષ્યમાં વાતચીત અને રાજદ્વારી માટે દરવાજા ખુલ્લા રાખવા જરૂરી છે. તેમને આશ્ચર્ય થયું કે, ખોમેનીના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ભાવુક બનીને હાજર રહ્યા હતા.
મને લાગતું હતું કે, ઈરાનની જનતા ખોમેનીથી નારાજ છે. ટ્રમ્પના
નિવેદન બાદ આર્મેનિયામાં આવેલા ઈરાનના દૂતાવાસે સોશિયલ મીડિયા પર કડક પ્રતિક્રિયા આપી
હતી. ઈરાને પોતાના જવાબમાં કહ્યું કે, જે વ્યક્તિ પાસે સંસ્કાર,
ઇતિહાસ અને સન્માનની સમજ નથી, તે આવી લાગણીઓ અને
પરંપરાઓને ક્યારેય સમજી શકશે નહીં.