મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં લવજેહાદ અને ધર્મ પરિવર્તન કરાવનારા
પકડાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ધર્મ
પરિવર્તન રોકવા માટે કાનૂન લાવવાની ખાતરી મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપી છે.
વિધાનસભામાં ધર્મ પરિવર્તનના મુદ્દે શાસક પક્ષના સભ્યોએ પ્રશ્નો ઉઠાવ્યા પછી આવી ખાતરી
આપતાં મહેસૂલપ્રધાને જણાવ્યું છે કે, ધર્મ પરિવર્તન અને ગેરકાયદે
બંધાઈ રહેલા ચર્ચની ફરિયાદો મળી છે અને સરકારે તેની તપાસ કરવા માટે ડિવિઝનલ કમિશનરના
અધ્યક્ષપદે એક સમિતિની નિમણૂક કરી છે. નંદુરબારમાં ગેરકાયદે ચર્ચ બંધાયા હોવાની ફરિયાદો
ઘણા વખતથી મળી રહી છે, તેથી હવે સરકાર એવો કાયદો લાવનાર છે,
જેના પરિણામે કોઈ ધર્મ પરિવર્તન કરાવવાની હિંમત નહીં કરે. ઉત્તરપ્રદેશમાં
છાંગુરબાબાની ધરપકડ પછી ધર્મ પરિવર્તન સંદર્ભે ચોંકાવનારી વિગતો મળી છે. ઉત્તરપ્રદેશ
એ.ટી.એસ., ઇડી અને એન.આઇ.એ.ની તપાસમાં ધર્માંતરણનું વ્યાપક નેટવર્ક
ચલાવતું હોવાની જાણકારી મળી છે અને માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, આ રેકેટ પાડોશી રાજ્યો અને વિદેશી કનેક્શનો સુધી વિસ્તર્યું છે. આ રેકેટ ચલાવવા
વિદેશથી કરોડોનું ફંડિંગ થતું હોવાનું પણ બહાર આવ્યું છે. છાંગુરબાબાની તપાસ દરમ્યાન
છેલ્લાં 10 વર્ષમાં 40વાર ઇસ્લામિક દેશોની યાત્રા કરી હોવાનું
તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે. હિન્દુ અને શીખ યુવતીઓ માટે ધર્માંતરણનું ભાવપત્રક
મળી આવ્યું છે, એ ઘટનાની ગંભીરતા છતી કરે
છે. ઉત્તર પ્રદેશના મસમોટા ધર્માતરણ રેકેટનો ભાંડો ફુટયા પછી ધર્માંતરણ મુદ્દે કડક
કાયદાની માંગ પણ તેજ થવા લાગી છે. જો કાયદાની મદદ હશે તો જ આવા રેકેટો પર કસીને લગામ
લગાવી શકાશે. ધુળે અને નંદુરબાર વિસ્તારમાં આદિવાસીઓને પ્રલોભનો આપીને ફરજિયાત ધર્મ
પરિવર્તન થાય છે, તે બાબતમાં રાજ્ય સરકારના આદિવાસી કલ્યાણ વિભાગને
પણ ફરિયાદો મળી રહી છે. હવે આવા પરિવારોની ઘરવાપસી માટે પ્રયાસ થઈ રહ્યા છે. આદિવાસી
તરીકે એમને મળતા લાભ સમજાવાય છે. ભીલ સમાજને તબીબી સારવાર-સહાય આપીને ધર્મ પરિવર્તન
કરાયું હોઈ તથા 199 જેટલાં ગેરકાયદે
ચર્ચ બંધાયાંની વિગત મળી છે. ગેરકાયદે બંધાતાં ધર્મસ્થાનો વિશે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા
મુજબ આવાં સ્થાનોને કાયદેસર બનાવવા અથવા તો તોડી પાડવાં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
જે સરકારી કર્મચારીઓએ ક્વોટાના લાભ મેળવ્યા પછી ધર્મ પરિવર્તન કર્યું હોય તેની પણ તપાસ
થઈ રહી છે.