પાટણ, તા. 01 (પ્રતિનિધિ) :રાધનપુર ખાતે વઢિયાર
આહીર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત શૈક્ષણિક સંકુલ
સમાજને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી
મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમ છાંગા અને પૂર્વ
કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં લોકાર્પણ સમારોહ યોજાયો હતો. શ્રી વઢિયાર,
ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ
રાખીને રાધનપુર મુકામે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ સમાજના દાતાઓના સહયોગથી કરવામાં
આવ્યું છે. જવાહરભાઈએ 51 લાખ રૂપિયાનું
દાન આપ્યું હતું. શંકરભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. ત્રિકમભાઈએ
જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું સૌથી શક્તિશાળી સાધન છે.
આ સંકુલના નિર્માણથી વિદ્યાર્થીઓને નવી દિશા અને આગળ વધવાની પ્રેરણા મળશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે.