ભુજ, તા. 9 : ગુજરાતમાં
સૌપ્રથમ વખત કચ્છના 281 ગામના 910 તળાવોને
રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન,
જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર
આનંદ પટેલના દિશા નિર્દેશમાં ભુજમાં 313, મુન્દ્રામાં 25, માંડવીમાં
38, નખત્રાણામાં
163, અબડાસામાં 87, અંજારમાં 132, ભચાઉમાં
78, રાપરમાં
18, લખપતમાં
45 અને
ગાંધીધામમાં 11 મળી 910 તળાવો નીમ કરાયા છે. તળાવો નીમ
થતાં 281 ગામમાં અંદાજિત 5691 એકર
જમીન નીમ કરાઈ છે. જે જમીનો સ્થાનિક સ્તરે તળાવ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ
ચોક્કસ રેકર્ડ પર ક્ષેત્રફળ સાથેનો દરજ્જો મળ્યો ન હોય ત્યાં જળસંચય, સંવર્ધન, સંરક્ષણ અને બ્યૂટિફિકેશનના કામો થઈ શકતા ન હતા. કચ્છના મહેસૂલી તંત્રની
ઝુંબેશે તળાવોને સત્તાવાર દરજ્જો આપી વિકાસાધિન બનાવ્યા છે. આ તળાવ નીમ અભિયાનમાં
ઘણાબધા તળાવો ગૌચર જમીન પર હતા તેની ઓળખ કરી સંપૂર્ણ માહિતી જિલ્લા પંચાયતને
સોંપવામાં આવી છે. મોટા પ્રમાણમાં જળસંગ્રહ થવાથી `માઈક્રો-ક્લાઈમેટ'માં સુધારો થશે. તળાવોના
સંરક્ષણથી ખારાશ ઘટશે જેથી પીવાના અને સિંચાઈના પાણીની ગુણવત્તા સુધરશે.