• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

`કર્મની સંદૂક'

કર્મનો સિદ્ધાંત છે - `જેવું કરીએ, તેવું પામીએ.' ભૂકંપ સમયે આવો જ એક અનુભવ થયેલો. ભુજ ગણેશનગર વિસ્તારમાં મારી માતા સહિત બીજી બે-ત્રણ બહેનો બધા માટે ભોજન બનાવી રહી હતી, ત્યારે અંદાજે 50 વર્ષના વૃદ્ધ કાકા બહેનો પાસે આવીને સંદૂક આપી રડમસ અવસ્થાએ કહ્યું, `તમે આ સંદૂક રાખી લો, એ મારા કર્મોનું ફળ છે. સંદૂકમાં મારી દીકરીઓનાં લગ્ન માટે બનાવેલાં ઘરેણાં છે. આવતા મહિને મારી બે દીકરીનાં લગ્ન હતાં, પરંતુ આ ધરતીકંપ મારા પરિવારને ભરખી ગયો. મારું જીવન અને આ દાગીના ભરેલી સંદૂક બંને નકામા થઈ ગયા. 1998ના કંડલામાં વાવાઝોડું આવ્યું, ત્યારે હું પોર્ટમાં કર્મચારી તરીકે કાર્યરત હતો, હજારોની સંખ્યામાં મરેલા મડદાઓનાં ઘરેણાં - રૂપિયા કાઢીને મેં આ ઘરેણાં ઘડાવ્યાં હતાં, પણ મને મારા કર્મોનું ફળ મળી ગયું. આટલું  બોલતાં જ એ વૃદ્ધ કાકા ધ્રૂસકે- ધ્રૂસકે રડવા લાગ્યા હતા. અમારી બહેન - માતાઓએ કાકાને સાંત્વના આપી અને રાહતનાં પગલે ચાલી રહેલા સેવાકેમ્પોમાં સંદૂક દાન કરી દેવા જણાવેલું. અડધો રોટલો ખાવો, પણ અનીતિનું ન ખાવું એ અમે આ ઘટનામાંથી શીખ્યા. મૂળ ભૂજના બીનાબેન રબારી હાલ ગાંધીધામ રહે છે, તેમણે આ સત્ય ઘટનાનો બોધ સૌ વાચકો માટે પીરસ્યો છે. 

Panchang

dd