કાઠડા (તા.માંડવી), તા.18 : સરકાર દ્વારા
ટેકના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. માંડવી તાલુકામાં સૌથી મોખરે 3200 ખેડૂતોએ ખરીદી માટે રજીસ્ટ્રેશન
કરીને અરજી કરી છે. જે જિલ્લામાં મોખરે છે. માંડવી માર્કેટયાર્ડે 50થી 60 ખેડૂતનો ટેલિફોનિક સંપર્ક કરી ક્રમ મુજબ બોલાવી જથ્થાની ખરીદી
કરાય છે. સરકાર દ્વારા ટેકાના ભાવ રૂ.2904 નક્કી કરાયા છે. નવ દિવસમાં 18000 બોરીની ખરીદી થઈ હોવાનું સર્વોદય ફળ એન્ડ શાકભાજી મંડળીના મંત્રી
યુવાનસિંહ શીશોડિયાએ જણાવ્યું હતું. રોજ સવારના નવ વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખરીદીનો ધમધમાટ જોવા મળે છે.
યોગ્ય વ્યવસ્થા બાદ રોજ 100 ખેડૂતો પાસેથી
ખરીદી કરવાનો અંદાજ જણાવ્યો હતો. વધુમાં વધુ ખેડૂતોનો જથ્થો ઝડપથી ખરીદી થઈ શકે તેવા
પ્રયાસો કરાઈ રહ્યા છે. માલની ગુણવત્તામાં પણ માંડવી તાલુકો મોખરે છે. ગત વર્ષે માત્ર
638 ખેડૂતે અરજી કરી હતીછ. જે ચાલુ
વર્ષે પાંચ ગણી વધુને 3200 ખેડૂતે રજીસ્ટ્રેશન
કરાવ્યું છે. તે ખેડૂતોમાં જાગ્રતતા દર્શાવે છે. એક ખેડુત પાસેથી ખરીદીની મર્યાયા અંગે
પૂછતાં જણાવ્યું હતું કે, એક ખેડુત પાસેથી
32.5 મણની મર્યાદા નક્કી કરાઈ છે.
આ અંગે તાલુકા કિસાન સંઘ પ્રમુખ રતીલાલભાઈ રાબડિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ખેડૂત દીઠ ટેકાના ભાવે ખરીદી મર્યાદા
ઘટાડી દેવાઈ હોવાથી ખેડૂતોને અન્યાય થયો છે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ, ધારાસભ્ય તથા સંબંધિતોને રજૂઆત કરીને ગત વર્ષે
100 મણ વધારીને 125 મણ ખરીદી કરવાનું જણાવાયું
હતું. પરંતુ 100માંથી 62.5 મણ કરાઈ હોવાથી ખેડૂતો પાસે
વધી રહેલા જથ્થાનું શું કરવું તે પ્રશ્નો ઉઠયા હતા. ખેડૂતોને અનેક સમસ્યાઓ સતાવી રહી
છે. સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય અને મગફળીની ખરીદીમાં વધારો કરાય તેવી
આશા વ્યક્ત કરાઈ હતી.