નવી દિલ્હી, તા. 18 : ભારત ચાલુ
વર્ષે 17 વર્ષના સૌથી નબળાં ચોમાસાં
તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મજબૂત થતા અલ નીનો વચ્ચે જૂનથી સપ્ટેમ્બરની ચોમાસું
સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્યથી 15 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જો વરસાદની આવી કમી યથાવત્ રહેશે
તો 2009 પછી દેશનું સૌથી નબળું ચોમાસું
બની શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના
કહેવા પ્રમાણે ચોમાસાંની ઋતુમાં અત્યાર સુધીમાં વરસાદ 15 ટકા ઓછો થયો છે. મે મહિનામાં
હવામાન વિભાગે 10 ટકા ઓછા વરસાદનું અનુમાન વ્યક્ત
કર્યું હતું. 2009માં વરસાદ સામાન્ય કરતા 18 ટકા ઓછો રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાના
કન્સલ્ટન્સી ગ્લોબલ વેધર ક્લાઈમેટ એનાલિટિક્સના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિશ્ચિયન વર્નર
અનુસાર સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળની ખાડીમાં હવામાન ચક્રવાત માટે અનુકૂળ બની
શકે છે.જેનાથી પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં વરસાદ પડવાની શકયતા છે. જો કે વર્નરના
માનવા અનુસાર તેનાથી દેશની તસવીરમાં મોટો બદલાવ આવવાની સંભાવના ઓછી છે. પુરા ચોમાસા
દરમિયાન વરસાદની કમી 13થી 16 ટકા વચ્ચે રહી શકે છે. બ્રિટનની
લેકેસ્ટર યુનિવર્સિટી સંબંધિત વિશેષ પ્લેટર્મો ક્રુશિયલે પણ ભારતના ચોમાસા અંગે અનુમાન
વ્યક્ત કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસાની સીઝનમાં વરસાદની કમી 10થી 20 ટકા રહેવાની 68 ટકા સંભાવના છે.