રિયાદ, તા. 11 ભારત માટે ચિંતાજનક એવી પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેની સંરક્ષણ સમજૂતીની
પોલ 48 કલાકમાં જ ખૂલી ગઈ છે. જાજાનમાં
અરામકોની તેલ રિફાઈનરી પર હૂતીઓના ડ્રોન હુમલા બાદ આ ગઠબંધન તરફથી કોઈ સૈન્ય કાર્યવાહી
થઈ નથી. સાઉદી, પાક અને તુર્કીની સમજૂતી
પોતાની પ્રથમ પરીક્ષામાં જ નાપાસ થઈ છે. હૂતી વિદ્રોહીઓના અરામકોની રિફાઈનરી પર હુમલા
છતાં એક દેશ પરનો હુમલો ત્રણેય દેશ પર હુમલો ગણાશે એવા કરાર કરનારા પાકિસ્તાન કે તુર્કી
દ્વારા કોઈ લશ્કરી કાર્યવાહી તો કરાઈ નથી જ, હુમલાના જવાબ અંગેનું
કોઈ નિવેદન પણ અપાયું નથી. હૂતી સૈન્યના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે,
ખાદા અને હજ્જાહ પ્રાંતમાં સાઉદીનાં ડ્રોન ઓપરેશનના જવાબમાં અરામકો પર
હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાને લીધે રિફાઈનરીમાં આગ લાગી ગઈ હોવાની પુષ્ટિ સાઉદીનાં
ઊર્જા મંત્રાલયે કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાઉદીના ક્રાઉન પ્રિન્સ
મોહમ્મદ બિન સલમાન, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગાન અને પાકિસ્તાનના
વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે શુક્રવારે મક્કામાં સંરક્ષણ સમજૂતી થઈ હતી અને મીડિયામાં
તેને ઈસ્લામિક નાટો કરાર પણ ગણાવાયા હતા. સાઉદી અને પાક વચ્ચે ગયા વર્ષે પણ આવા કરાર
થયા હતા, પણ ઈરાને જ્યારે સાઉદીનાં સ્થળો પર હુમલા કર્યા,
ત્યારે પાકિસ્તાની સેનાએ કોઈ સીધો હસ્તક્ષેપ કર્યો નહોતો.