• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

એફસીઆરએ ખરડો જેપીસીને સોંપાશે

નવી દિલ્હી, તા. 11 : સંસદના સત્રમાં વિપક્ષ અને સરકાર વચ્ચેના ગતિરોધના કારણ પૈકીનો એક એવો વિદેશી અનુદાન (વિનિયમન) અધિનિયમ (એફસીઆરએ) સંશોધન ખરડો સંસદની સંયુક્ત સમિતિ-જેપીસીને મોકલવાનો સરકારે નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે સહયોગી પક્ષો અને અન્ય દળોને જણાવ્યું હતું કે, તે બુધવારે લોકસભામાં વિદેશી ફંડિંગ નિયમન બિલ સંબંધિત સુધારા ખરડાને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. જો કે, વિપક્ષે આ બિલને તેના વર્તમાન સ્વરૂપમાં સંપૂર્ણપણે પાછું ખેંચવાની માંગ યથાવત રાખી છે. આ પહેલાં રાજ્યસભા બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં પણ કોંગ્રેસ અને ટીએમસીએ એફસીઆરએ ખરડાને પાછો ખેંચવાની માંગ કરી હતી. આ બિલનો ખ્રિસ્તી સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. દરમ્યાન, આજે જ તામિલનાડુ વિધાનસભાએ એફસીઆરએ ખરડાનો વિરોધ કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. દરમ્યાન ખ્રિસ્તી સમુદાયની સાથે વિપક્ષી પક્ષો પણ સતત એફસીઆરએ બિલનો વિરોધ કરી રહ્યા છે. આજે, તમિલનાડુ વિધાનસભાએ એફસીઆરએ બિલનો વિરોધ કરતો ઠરાવ પસાર કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ઠરાવમાં કેન્દ્ર સરકારને બિલ પાછું ખેંચવા વિનંતી કરવામાં આવી હતી. ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે, આ સુધારો સખાવતી સંસ્થાઓ, ખાસ કરીને લઘુમતીઓ દ્વારા સંચાલિત શૈક્ષણિક અને સામાજિક કલ્યાણ સંસ્થાઓની સ્વાયત્તતાને અસર કરી શકે છે. ચર્ચા પછી, ઠરાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. દરમિયાન, મિઝોરમની રાજધાની આઈઝોલમાં વિવિધ ખ્રિસ્તી સમુદાયોના હજારો લોકોએ બિલનો વિરોધ કર્યો હતો. આ રેલીનું આયોજન કાઉન્સિલ ઓફ ચર્ચીસ ઇન મિઝોરમના આહ્વાન પર કરવામાં આવ્યું હતું, જે નવ મુખ્ય ચર્ચોનું જૂથ છે, જેમાં પ્રેસ્બીટેરિયન ચર્ચ ઓફ ઈન્ડિયા અને બેપ્ટિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ (બીસીએમ)નો સમાવેશ થાય છે. દરમિયાન, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને એફસીઆરએમાં પ્રસ્તાવિત સુધારાઓ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી હતી.  તેમણે કહ્યું કે, કાયદામાં થયેલા ફેરફારો ચર્ચ અને ખ્રિસ્તી સખાવતી સંસ્થાઓ પર બોજ પાડી શકે છે અને રાજ્યમાં શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ કાર્યક્રમોને અસર કરી શકે છે. રિયોએ કહ્યું કે, વિદેશી યોગદાન (નિયમન) કાયદામાં સુધારાને સંપૂર્ણ તપાસ માટે સંસદીય સમિતિને મોકલવા જોઈએ, જેમાં સંબંધિત હિતધારકોના પ્રતિનિધિઓને તેમના મંતવ્યો રજૂ કરવાની તક આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, એફસીઆરએ સુધારા બિલ, 2026 આ વર્ષે 25 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને સંસદના ચાલુ ચોમાસા સત્રમાં તેની ચર્ચા થવાની અપેક્ષા હતી. જો કે, વિપક્ષના હોબાળાને કારણે, કોઈ મહત્ત્વપૂર્ણ કાયદાકીય કાર્ય પૂર્ણ થયું નથી.

Panchang

dd