• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

બાંગલાદેશનો હઠાગ્રહ, ભારતમાં ટી-20 વર્લ્ડ કપનો બહિષ્કાર

ઢાકા, તા. 22 : ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચેતવણી અને અલ્ટિમેટમ છતાં પણ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) ખેલાડીઓ અને વચગાળાની સરકારના ખેલ સલાહકારે ટી-20 વિશ્વ કપને લઈને પોતાની હઠ જાળવી રાખવાનાં વલણ ઉપર અડગ રહેવાનો નિર્ણય કર્યો છે અને બાંગલાદેશે આગામી ટી-20 વિશ્વ કપ ભારતમાં રમવાનો  બહિષ્કાર કરી દીધો છે અને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી મેચનું સ્થળ ભારતથી બદલીને શ્રીલંકામાં ન કરવામાં આવે ત્યાં સુધી ટીમ વિશ્વ કપમાં ભાગ લેશે નહીં. તેવામાં હવે આઈસીસી બાંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને વિશ્વ કપમાં સામેલ કરે તેવી સંભાવના છે. આ મામલે આઈસીસી દ્વારા સત્તાવાર રીતે માહિતી જાહેર કરવામાં આવશે. ખેલાડીઓ સાથેની મહત્ત્વની બેઠક બાદ બાંગલાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલે આઈસીસી ઉપર ગંભીર આરોપ મૂક્યા હતા. નઝરુલે કહ્યું હતું કે, આઈસીસીએ બાંગલાદેશ સાથે ન્યાય કર્યો નથી અને ખેલાડીઓની સુરક્ષાને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. આસિફ નઝરુલના કહેવા પ્રમાણે સરકાર, ક્રિકેટ બોર્ડ અને ખેલાડી ત્રણેય એકમત છે કે સુરક્ષા સાથે કોઈ પણ સ્થિતિમાં સમજૂતી કરવામાં આવશે નહીં.  આસિફ નઝરુલે કહ્યું હતું કે, બાંગલાદેશ કોઈનાં દબાણમાં નમશે નહીં. દુનિયાએ પણ સમજવું જોઈએ કે, જો બાંગલાદેશ વિશ્વ કપ નહીં રમે તો તેનું શું પરિણામ આવશે. તેઓ ખેલાડીઓની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરશે નહીં. બેઠક બાદ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડે ફરીથી કીધું હતું કે, તેનો નિર્ણય અટલ છે. બોર્ડના કહેવા પ્રમાણે વર્તમાન સ્થિતિમાં ભારત જઈને રમવું સુરક્ષિત નથી અને આ માટે સ્થળ બદલીને શ્રીલંકામાં રાખવું જોઈએ. જો કે, આઈસીસીએ પહેલાંથી સાફ કહી દીધું છે કે, ટૂર્નામેન્ટની મેચ ભારતથી બહાર જશે નહીં.  આઈસીસીએ બાંગલાદેશ ક્રિકેટ બોર્ડની 21 જાન્યુઆરીના થયેલી બેઠકમાં મેચ ઉપર મોટો નિર્ણય કર્યો હતો. ત્યારે બાંગલાદેશે ભારત બહાર કોઈ અન્ય દેશમાં મેચનો અનુરોધ કર્યો હતો. આ પ્રસ્તાવને વોટિંગ માટે રાખવામાં આવ્યો હતો, જેમાં બીસીબીને કારમી હારનો સામનો કરવો પડયો હતો. 16 દેશનાં મતદાનમાં 14એ બાંગલાદેશ વિરુદ્ધ મત આપ્યો હતો, જ્યારે માત્ર બે દેશ પાકિસ્તાન અને બાંગલાદેશે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. બાદમાં આઈસીસીએ કહ્યું હતું કે, ભારતનાં કોઈ પણ આયોજન સ્થળે બાંગલાદેશી ખેલાડી, અધિકારી કે ચાહકોની સુરક્ષાને જોખમ નથી. આ માટે મુકાબલા નક્કી સ્થળે જ થશે.  હવે બાંગલાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી હટી ગઈ હોવાથી સ્કોટલેન્ડની ટીમ વિશ્વ કપમાં સામેલ થઈ શકે છે. આઈસીસી બોર્ડ ટીમ રેન્કિંગના આધારે ટૂર્નામેન્ટમાં બાંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવાનો નિર્ણય લઈ શકે છે. આઈસીસીના વર્તમાન રેન્કિંગમાં સ્કોટલેન્ડ 14મા સ્થાને છે. 

Panchang

dd