ગાંધીધામ, તા. 10 : શહેર સંકુલના ધમધમતા એવા ટાગોર
રોડ ઉપર નવીનિકરણનું કામ ચાલી રહ્યું છે. આ માર્ગ ઉપર જ્યાં કટ છે ત્યાં સ્પીડબ્રેકર
બનાવવા અથવા ત્યાં બેરિકેટ મુકવા ગાંધીધામ વકીલ મંડળ દ્વારા રજૂઆત કરવામાંઆવી હતી.
ગાંધીધામ-આદિપુરના હૃદયમાસ ટાગોર રોડ પર લાંબા સમય સુધી ખાડાઓએ લોકોની કમર તોડયા બાદ
તંત્ર દ્વારા અહીં નવીનીકરણનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. આ માર્ગ ઉપર અનેક જગ્યાએ
લોકોને આવવા-જવા માટે કટ આવેલા છે આવા કટ આવે છે ત્યાં અકસ્માત ન સર્જાય તે માટે અગાઉ
સ્પીડબ્રેકર મૂકવામાં આવ્યા હતા. આવા સ્પીડ બ્રેકરના અભાવે અગાઉ અનેક નિર્દોષ લોકોને
પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. જે અંગે રજૂઆતો,
ફરિયાદો પછી બમ્પ બનાવાયા હતા. હાલમાં આ માર્ગ ઉપર નવીનીકરણનું કામ ચાલી
રહ્યું છે. ત્યારે ફરીથી કટ પાસે સ્પીડ બ્રેકર બનાવાતા નથી. જેના કારણે વાહનો તીવ્ર
ગતિએ પસાર થાય છે અને લોકોને કટ પાસે બીજા રસ્તે જતા ભીતિ ઊભી થાય છે. આવામં અકસ્માતો
સર્જાઈ પણ ચૂક્યા છે. વધુ ગંભીર બનાવ ન બને અને કોઈનો જીવ ન જાય તે માટે ગાંધીધામ વકીલ
મંડળે પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આવા તમામ કટ પાસે સ્પીડબ્રેકર બનાવવા તેમજ ત્યાં
કામ ચલાઉ બેરિકેટ મુકવા માંગ કરવામાં આવી હતી. આ વેળાએ મંડળના મયુરધ્વજ એસ. ખાંડેકા,
નરેન્દ્ર જે. તોલાણી, એસ.એસ. ગઢવી, રમેશભાઈ રોશિયા, જયેશ યુ. સોલંકી, વિશાલ ઓ. શર્મા, પ્રકાશ દેવરિયા, કાનજીભાઈ ફૂફલ, હરપાલસિંહ ઝીણા, હરેશભાઈ ગઢવી વગેરે જોડાયા હતા.