મુંબઇ, તા.11 : આઇપીએલની 19મી સીઝનનું શેડયૂલ આજે સાંજે બીસીસીઆઇએ
જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચથી થશે. હાલના તબકકે બીસીસીઆઇએ ફક્ત 20 દિવસનો કાર્યક્રમ શેડયૂલ જાહેર
કર્યા છે. ઉદ્ઘાટન મેચ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર વર્તમાન ચેમ્પિયન ટીમ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ગયા વર્ષે આરસીબી ટીમ
ચેમ્પિયન થયા પછી અહીં વિકટ્રી પરેડ દરમિયાન ભાગદોડ થઇ હતી અને 11 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારથી
આ સ્ટેડિયમ બંધ છે. હવે આઇપીએલ-2026ના ઉદ્ઘાટન
મેચથી ચિન્નાસ્વામી સ્ટેડિયમના પ્રવેશ દ્વાર ખુલશે. આઇપીએલ-2026 સીઝનના 12 એપ્રિલ સુધીના
મેચનો કાર્યક્રમ જાહેર થયો છે. પછીની મેચોનો કાર્યક્રમ બાદમાં જાહેર થશે. તેનું કારણ
આસામ, બંગાળ, તામિલનાડુ અને
કેરળ વિધાનસભાની ચૂંટણી છે. આજે જાહેર થયેલા
કાર્યક્રમ અનુસાર ઓપનિંગ વીકેંડમાં વાનખેડે સ્ટેડિયમ પર મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકતા
નાઇટ રાઇડર્સની ટક્કર થશે. ઓપનિંગ વીકેંડમાં ડબલ હેડર નથી. હાલ જે શેડયૂલ જાહેર થયું
છે તેમાં 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન રમાનાર ટી-20 મેચ સામેલ છે. 11 અને 12 એપ્રિલે ડબલ હેડર મુકાબલા છે.
સાંજની મેચ 7-30થી અને બપોરની મેચ 3-30થી શરૂ થશે.