ભુજ, તા. 5 : અહીંની બીએપીએસ સ્વામિનારાયણ
સંસ્થા દ્વારા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની `પારિવારિક પ્રેરણાસભા'નું આગામી 26મી એપ્રિલે
રવિવારે સાંજે 6થી 8 દરમિયાન આયોજન કરાયું છે. આજના ઝડપી અને ડિજિટલ યુગમાં પરિવાર
વચ્ચે સમય ઘટતો જાય છે અને સંવાદ ઓછો થઈ રહ્યો છે,
નાના-નાના મુદ્દા ઉપર પરિવારમાં મતભેદો જોવા મળે છે, વર્તમાન વ્યસ્ત જીવનશૈલી, મોબાઈલ અને માનસિક તણાવના કારણે
સંબંધોમાં વધતું અંતર દેખાઈ રહ્યું છે. આવા સમયમાં પરિવારને ફરીથી જોડવા, સમજણ વધારવા અને પ્રેમ, વિશ્વાસ અને સંસ્કારોયુક્ત વાતાવરણ
બનાવવા માટે બીએપીએસ સંસ્થાના ગુરુહરિ પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભુજ ખાતે
સંસ્થાના વિદ્વાન વક્તા પૂ. ડો. જ્ઞાનવત્સલ સ્વામીની `પારિવારિક પ્રેરણાસભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ભગવાન સ્વામિનારાયણના પાંચમા અધ્યાત્મિક
અનુગામી પૂ. પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દીક્ષિત વિદ્વાન વક્તા ડો. જ્ઞાનવત્સલ સ્વામી
તેમની ઊર્જાસભર, અસ્ખલિત અને પ્રેરણાદાયી વાણીથી સૌને લાભાન્વિત
કરશે. બીએપીએસ સંસ્થા દ્વારા પરિવારમાં સંસ્કારયુક્ત વાતાવરણ ઊભું થાય તે માટે સમયાંતરે
વિવિધ કાર્યક્રમો આયોજિત થતા રહે છે. પરિવાર એ હિન્દુ સંસ્કૃતિનું, સમાજનું અને રાષ્ટ્રનું અંગભૂત ઘટક છે, જેટલો પરિવાર
મજબૂત તેટલા જ આપણો સમાજ અને રાષ્ટ્ર મજબૂત. એટલે જ પરિવાર પ્રબોધનને વિશેષ બળ આપવા
માટે આવો અમૂલ્ય લાભ લેવા સંસ્થા દ્વારા વિશેષ આયોજન હાથ ધરી ભુજ મંદિરના કોઠારી પૂ.
વિવેકમંગલ સ્વામીનાં માર્ગદર્શનમાં આયોજન હાથ ધરાયું છે. એરપોર્ટ રિંગરોડ સ્થિત નિર્માણાધીન
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ સભામાં ઉપસ્થિત રહેવા રજિસ્ટ્રેશન કરાવવું
આવશ્યક રહેશે.