નખત્રાણા, તા. 5 : નખત્રાણા તાલુકાના દેશલપર
(ગુંતલી) ગામ નજીક નર્મદા સિંચાઈ યોજના હેઠળ ચાલી રહેલી પાઈપલાઈન કામગીરીનું સ્થળ પર
જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કામગીરી નખત્રાણા તેમજ લખપત તાલુકાના મધ્યમ અને નાની
સિંચાઈના ડેમોને નર્મદા નદીના પાણીથી ભરવા માટે `નોર્ધન લીંક ફેઝ-2' યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ
જણાવ્યું હતું કે, યોજના પૂર્ણ
થયા બાદ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતીને નવી દિશા મળશે અને કૃષિ ક્ષેત્રમાં વિકાસના નવા માર્ગ ખુલશે. નિરીક્ષણ દરમિયાન પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દ્વારા
કામગીરીની ગુણવત્તા અને ગતિ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું અને સ્થળ પર જ કામગીરીની
વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા
તથા ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની કમી ન રહે તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું
હતું.