• રવિવાર, 05 એપ્રિલ, 2026

આજે ભુજના ટાઉનહોલમાં પર્યાવરણ ગીતો પર નૃત્યમંચન

ભુજ, તા. 3 : જાણીતા કવિ અને લેખક સ્વ. મહેશભાઈ સોલંકી `બેનામ'ની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે  રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા તા. 4 એપ્રિલ શનિવારે  રાત્રે 8:30 વાગ્યે ભુજના ટાઉનહોલમાં `ચાલો કુદરતના ખોળે' શીર્ષક તળે પર્યાવરણ ગીતો પર સંગીતમય નૃત્યમંચન દ્વારા સ્વરાંજલિ અપાશે તેમજ ગુજરાતી, કચ્છી સાહિત્ય અને સંગીત તથા ગાયકીમાં વિશિષ્ટ પ્રદાન કરનારી વ્યક્તિઓનાં વિશેષ સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતી ગદ્યમાં ડો. ધીરેન્દ્રભાઈ મહેતા, ગુજરાતી પદ્યમાં વિનોદભાઈ માણેક `ચાતક', કચ્છી સાહિત્યમાં ગૌતમભાઈ જોષી, સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન માટે જયંતીભાઈ જોષી `શબાબ', સંગીત નિયોજનમાં સ્વ.  જ્યોતિષભાઈ વોરા અને ગાયનમાં કાજલબેન છાયાનું `બેનામ' સ્મૃતિ વિશેષ સન્માન કરાશે. સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં પંચમ સંગીતયમ નૃત્યમંચન સ્વરાંજલિ કાર્યક્રમમાં `બેનામ' રચિત અને અબ્દુલભાઈ ખાવરા દ્વારા સ્વરબદ્ધ પર્યાવરણ ગીતો પર વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે. ટ્રસ્ટના મેનાજિંગ ટ્રસ્ટી ડો. મનોજભાઇ સોલંકીના માર્ગદર્શનમાં કલાશ્રી મ્યુઝિક હબના વિપુલ મહેતા, નુપુર નૃત્ય અકાદમીના પ્રા. વૈશાલીબેન સોલંકી, માધવ સાઉન્ડના અજીતભાઈ પરમારના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે. કલાકારો પ્રગતિબેન મહેતા, અંશ પટ્ટણી, પૂજા પરમાર (જેઠી), ઉદિશ વોરા, ઓમ પોમલ, સ્વર માંકડ, યશ દવે, રાજવીરાસિંહ ગોહિલ સહિતના કલાકારો રંગત જમાવશે. ઉદઘોષક મનન ઠક્કર રહેશે, સાઉન્ડ વ્યવસ્થા વિક્રમ ભાનુશાળી અને દર્શન ભાનુશાળી સંભાળશે. 

Panchang

dd