કીવ, તા. 26 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી
રહેલ સંઘર્ષ હવે ભૌગોલિક સીમાઓ વટાવીને નવા દરિયાઈ મોરચે પહોંચી ગયો છે. શનિવારે કેસ્પિયન
સમુદ્રમાં યુક્રેને એક ઈરાની જહાજને નિશાન બનાવ્યા બાદ ઈરાને કડક વલણ અપનાવ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ યુરોપિયન યુનિયન (ઈયુ)ને હુમલા સામે તાત્કાલિક
અને કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. અહેવાલો અનુસાર, યુક્રેનિયન હુમલાને કારણે જહાજ પર થયેલા વિસ્ફોટમાં
એક નાવિકનું મોત થયું હતું અને બીજા એકને ઈજા થઈ હતી. ઈરાની વિદેશ મંત્રાલય દ્વારા
જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર,
વિદેશ પ્રધાન અરાઘચીએ શનિવારે ઈયુ વિદેશનીતિના વડા કાજા કલ્લાસ સાથે
ફોન પર વાત કરી હતી અને તેમને યુક્રેનના `આક્રમક પગલાં' સામે પગલાં લેવા વિનંતી કરી હતી. ઈરાન કહે છે કે, યુક્રેને
તેના એક વ્યાપારી જહાજને નિશાન બનાવ્યું હતું, ત્યારે યુક્રેનના
રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી હતી કે તેમના દેશની સેનાએ કેસ્પિયન સમુદ્રમાં
ઈરાનના લશ્કરી કાર્ગો પરિવહન કરતાં રશિયન યુદ્ધ જહાજ અને જહાજો પર સફળતાપૂર્વક હુમલો
કર્યો છે.