રાજકોટ/અમદાવાદ, તા.9: ભારતીય દળોએ ઓપરેશન સિંદૂરથી પહલગામ આતંકવાદી
હુમલાનું વેર વસૂલ્યા પછી પાકિસ્તાને આતંકવાદીઓ સામેની કાર્યવાહીને માથે ઓઢીને ભારતને
જંગ માટે ઉશ્કેરતા પ્રયાસો આદર્યા છે અને ભારતે તેનો સઘન જવાબ પણ આપ્યો છે. કાશ્મીરથી
માંડીને કચ્છની સીમા સુધી પાકિસ્તાની સેનાએ સીમાડાનાં વિસ્તારોમાં ડ્રોન હુમલાનાં કરેલા
પ્રયાસોને ભારતે વિફળ બનાવી દીધા છે પણ આ સ્થિતિ કોઈપણ સમયે વધુ વિકરાળ બની ફાટે તે
પહેલા ભારતમાં પાકિસ્તાન સીમાએ આવેલા તમામ રાજ્યોમાં તકેદારીનાં સર્વોત્તમ પગલાઓ લેવાઈ
રહ્યાં છે. જેમાં ગુજરાતમાં કચ્છ સહિતનાં તમામ એરપોર્ટ 22મી મે સુધી બંધ કરી નાખવામાં આવ્યા છે. રાજકોટ, પોરબંદર, જામનગર, કંડલા, ભુજ, ભાવનગર, કેશોદ સહિતનાં એરપોર્ટ ઉપર વ્યવસાયિક વિમાનસેવાઓ
અટકાવી દેવામાં આવી છે. જેને પગલે હાલનાં તબક્કે એકમાત્ર અમદાવાદથી જ વિમાન સેવા ઉપલબ્ધ
રહેશે. રેલવે સ્ટેશનો ઉપર ચેકિંગ સઘન બનાવી નાખવામાં આવ્યું છે. આપાત સ્થિતિને ધ્યાને
રાખીને રાજ્યનાં કર્મચારીઓની રજા રદ કરી નાખવામાં આવી છે. ફટાકડા ફોડવાથી લઈને રાજ્યમાં
ડ્રોન ઉડાડવા ઉપર આગામી આદેશ સુધી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ગુરુવારની રાતે
ડ્રોન અને મિસાઈલ હુમલાનાં પાકિસ્તાનનાં પ્રયાસ પછી ખાસ કરીને ગુજરાતમાં કચ્છ,
બનાસકાંઠા, પાટણ, જામનગર
જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સલામતી માટે લેવામાં આવેલા પગલાઓની આજે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણકારીઓ મેળવી હતી અને આવશ્યક સૂચનાઓ
પણ આપી હતી. આજે રાજ્યના મુખ્ય સચિવ સહિતના
તમામ સંબંધિત ઉચ્ચાધિકારીઓ, ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, રાજ્યના તમામ સરહદી ગામોમાં ઈવેક્યુએશન પ્લાન, આપાતકાલમાં
નાગરિક સંરક્ષણની ગતિવિધિઓ, આરોગ્ય સેવાઓ અને કોમ્યુનીકેશન નેટવર્ક
સિસ્ટમ જાળવી રાખવા સહિતના વિષયો અંગે સમીક્ષા કરી હતી અને જરુર જણાઈ ત્યાં માર્ગદર્શન
પણ આપ્યું હતું. આજે સવારે તેઓ, ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન
સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યસચિવ પંકજ
જોષીની ઉપસ્થિતિમાં સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ
સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે.
તે સંદર્ભમાં આજની બેઠકમાં મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર, પોલીસ
અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓને બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર
સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્યમંત્રીએ આપાતકાલીન
સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા
દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. તેમણે
હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત
કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ
હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ
સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી. સૌથી મહત્વની બાબત એ હતી કે, આવી સ્થિતિમાં નાગરિકોને આવશ્યક વસ્તુઓ અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો
મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો
સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. આરોગ્ય વિભાગ અને
વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી
વળવા સજ્જ રહે તેવા નિર્દેશો આપ્યા હતા. રાજ્યના
સરહદી ગામોમાં રાત્રિ અંધારપટ, સંવેદનશીલ એરપોર્ટ ઉપરની સુરક્ષા
વ્યવસ્થા, તમામ ઐતિહાસિક ધાર્મિક સ્થળો સહિતના સ્થાનો પર ચાંપતી
નજર રાખવામાં આવી રહી છે. તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટર પર એક ટ્વીટ કરીને
એવી સૂચના આપી છે કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારોહ કે કાર્યક્રમમાં
ફટાકડા ફોડવા કે ડ્રોન ફોડવાની મંજૂરી આપવામાં નહીં આવે. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક
પુરવઠા વિભાગે પણ ભાવ નિયંત્રણ રહે અને કાળાબજાર અટકે તે માટે પ્રબંધ કર્યો છે. તેની
વિગતો આપતાં અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ જણાવ્યુ છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં
લેતા આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા
કલેક્ટરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. - મોદીએ કચ્છની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી : અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી ) : .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી કચ્છ સહિતના સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા
કરી હતી. ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા
જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં શુક્રવારની
બેઠકમાં મુખ્યમંત્રીએ વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા
અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની
વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.