ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં આપઘાત પ્રકરણમાં આરોપીઓની તાત્કાલીક ધરપકડ કરવા અને
મૃતકને ન્યાય અપાવવા પોલીસવડાને રજુઆત કરવામાં આવી હતી. આદિપુરમાં રહેતા ગાંધીધામ ભાજપના
હોદ્દેદાર એવા દિપેશ ભટ્ટ નામના યુવાનના આપઘાત પ્રકરણે 18 શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ અંગે યુવાનના પત્ની દીપાબેન, માતા મીનાક્ષીબેન પરિવારજનો તથા બ્રહ્મ સમાજના
અગ્રણીઓ પોલીસ અધિક્ષક સાગર બાગમારને રૂબરૂ મળ્યા હતા અને આરોપીઓની તાત્કાલીક ધરપકડ
કરવા અને મૃતકોને ન્યાય અપાવવા રજુઆત કરવામાં આવી હતી. પોલીસ વડાએ આરોપીઓની અટક તથા
મૃતકના પરિવારજનોની સુરક્ષા સાથે ન્યાય આપવાની હૈયાધારણા આપી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ
પૂર્વ વિભાગના પ્રમુખ હિરેન ખાંડેકા, ગાંધીધામ તાલુકા પ્રમુખ
કિર્તી જોશી, પરશુરામ સેવા બ્રહ્મ સમાજ પ્રમુખ મેહુલ રાવલ,
કારોબારી સભ્યો, ટ્રસ્ટી મંડળ, યુવક મંડળ, મહિલા મંડળ વગેરે આ વેળાએ હાજર રહ્યા હતા.