પાકિસ્તાની લશ્કરના વડા, જનરલ અસીમ મુનીરને ભારત સામે મળેલા પરાભવ બદલ બઢતી મળી છે - અથવા જબરદસ્તીથી
મેળવી લીધી છે અને `ફિલ્ડ માર્શલ'
બન્યા છે. પરાજય થયા પછી આવી બઢતી `ઐતિહાસિક' છે ! સામાન્ય રીતે નામોશી પછી આવી `તાજપોશી'
થાય નહીં, પણ પાકિસ્તાનની હાલત જોતાં સરકાર અને
સ્થિતિ ડામાડોળ છે તેથી કેબિનેટે એમને ફિલ્ડ માર્શલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી
હોવાનું મનાય છે. લશ્કરી અદાલતમાં એમની સામે કોર્ટ માર્શલની કાર્યવાહી થઈ શકે નહીં.
`િફલ્ડ માર્શલ' બન્યા પછી મુનીર પરાજયનો બદલો - વેર વાળવા માટે
ભારત ઉપર આતંકી હુમલાનું આયોજન કરશે, એમ જણાય છે. આપણા લશ્કરી
નિષ્ણાતો પણ માને છે કે, સરહદ ઉપર શાંતિ સ્થપાય એવી આશા નથી.
આપણે વિદેશોમાં ભારતની નીતિ અને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે સર્વપક્ષી પ્રતિનિધિ મંડળો
મોકલી રહ્યાં છીએ તે પાણી પહેલાં પાળ બાંધીએ છીએ. સિંધુના જળપ્રવાહ બંધ થાય એટલે પાકિસ્તાન
`લોહીની નદી'ની ધમકી અમલમાં મૂકે ત્યારે ભારત તૈયાર હશે જ,
પણ આવી શક્યતાની જાણ મિત્ર દેશોને અત્યારથી કરવામાં આવી રહી છે,
જેથી ભારત વિશે કોઈ ગેરસમજ રહે નહીં. મુનીર માટે ફિલ્ડ માર્શલ પદ પ્રોટેક્શનની
ઢાલ છે ! પાકિસ્તાનનો ઇતિહાસ ગવાહ છે કે, તેના લશ્કરના અન્ય અધિકારીઓ
જ સેનાપતિ સામે બળવો કરીને સત્તા મેળવે છે ! મુનીર સામે અસંતોષ અને વિરોધ વધી રહ્યો
છે. ઈમરાન ખાન જેલમાં છે, પણ એમનો પક્ષ મજબૂત બની રહ્યો છે. ઈમરાન
ખાન કહે છે કે, મુનીર મહત્ત્વાકાંક્ષી છે. રાજકીય સત્તાધીશ બનવાનું
ખ્વાબ છે તેથી સેનાપતિમાંથી ફિલ્ડ માર્શલ બનવા ઉત્સુક હતા. હવે લશ્કરમાં એમની સામે
કોઈ માથું ઊંચકવાની હિંમત નહીં કરે. બીજી બાજુ અર્થતંત્રની હાલત જોતાં વડાપ્રધાન શરીફ
સામે લોકોનો અસંતોષ છે અને જળપ્રવાહ બંધ થાય એટલે અનાજની અછત અને ભાવવધારા સામે વિરોધ
જાગશે - આવી સ્થિતિમાં સરકારની હાલત જોખમાશે અને સેના ઉપર આધાર રાખવો પડશે. મુનીરે
- ધર્મના ધોરણે બે રાષ્ટ્ર ઉપર ભાર મૂકીને મુલ્લાઓને સાથે રાખ્યા છે અને `યુદ્ધવિરામ'માં અમેરિકાની સલાહ અને સહાય લીધી છે તે પછી
ભવિષ્યમાં અમેરિકાના વિશ્વાસુ બની રહેશે. અલબત્ત, `ફિલ્ડ માર્શલ'ની પદવીની મુદ્દત નક્કી નથી તેથી નિવૃત્તિને બદલે વધુ રાજકીય પ્રવૃત્તિ શરૂ
કરશે, એમ નિરીક્ષકો માને છે. ગમે તેમ પણ ભારતે વધુ સાવધાન અને
તૈયાર રહેવું પડશે.