• સોમવાર, 02 જૂન, 2025

રાજ્યની એકમાત્ર ભુજની સરકારી ઇજનેરી કોલેજને એનબીએ માન્યતા

ભુજ, તા. 31 : અહીંની સરકારી ઇજનેરી કોલેજના ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નવી દિલ્હી દ્વારા શૈ. વર્ષ 2025-26, 2026-27 અને 2027-28 માટે એન.બી.એ.ની માન્યતા પ્રાપ્ત થઇ છે. એન.બી.એ. દ્વારા ગઠિત ત્રણ તજજ્ઞ અધ્યાપકની ટીમ સંસ્થા ખાતે તા. 28/3/25થી 30/3/25 સુધી પ્રસ્થાપિત 10 માપદંડ જેવા કે પરિણામ આધારિત ટીચિંગ, લર્નિંગ, અભ્યાસક્રમ, એસેસમેન્ટ, સ્ટુડન્ટ પર્ફોર્મન્સ, ફેકલ્ટી યોગદાન, વિવિધ પ્રયોગશાળાઓ, પ્લેસમેન્ટ, બજેટ વિ. પાસાઓનું જટિલ વિશ્લેષણ કરવા માટે આવી હતી. આ માન્યતા શૈક્ષણિક ગુણવત્તા માટે આપવામાં આવે છે. જો સંસ્થા પ્રસ્થાપિત 10 માપદંડ માટેના કુલ 1000 ગુણમાંથી 600 કરતાં વધારે ગુણ મેળવે તો જ આ માન્યતા પ્રાપ્ત થાય છે. તા. 1/6/25ની સ્થિતિએ ગુજરાતની સમગ્ર ઇજનેરી કોલેજોના ઇલેક્ટ્રિકલ ઇજનેરીના અભ્યાસક્રમમાં ફક્ત ત્રણ જ કોલેજોને એન.બી.એ. દ્વારા માન્યતા મળેલ છે, જેમાંની સરકારી ઇજનેરી કોલેજ ભુજ ગુજરાતની એકમાત્ર સરકારી ઇજનેરી કોલેજ છે. જિલ્લા માટે ગર્વની વાત છે. ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગને નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન નવી દિલ્હી દ્વારા માન્યતા મળવાથી ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગના વિદ્યાર્થીઓની ડિગ્રી વિદેશની કોલેજો અને યુનિવર્સિટીમાં માન્ય રહેશે. વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટ માટે સદર માન્યતાથી પ્રાથમિકતા મળશે. એ.આઇ.સી.ટી.ઇ. દ્વારા મળતા વિવિધ લાભો માટે પણ આ માન્યતા ઉપયોગી થશે. વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિકલ ઇજનેરી વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે છે જે આ માન્યતા મળ્યે પ્રસ્થાપિત થાય છે. સંસ્થાના આચાર્ય પ્રો. જી. જે. વાળા, વિભાગના વડા પ્રો. પી. એલ. કમાણી, સંસ્થાના એન.બી.એ. કો-ઓર્ડિનેટર પ્રો. એમ. બી. ઝાલાએ અધ્યાપકો, વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd