નવી દિલ્હી, તા. 31 : પોતાના
પહેલા ખિતાબની કવાયતમાં લાગેલી પંજાબ કિંગ્સની ટીમનો સામનો આઈપીએલ 2025ના
બીજા ક્વોલિફાયરમાં રવિવારે પહેલી જૂને પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ
સામે થશે. શ્રેયસ અય્યરની આગેવાની પંજાબ કિંગ્સને પહેલી ક્વોલિફાયરમાં રોયલ
ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારનો સામનો કરવો પડયો હતો, જેનાથી આત્મવિશ્વાસ
ડગમગ્યો હશે. હવે પંજાબ કિંગ્સને જો પહેલી વખત ચેમ્પિયન બનવું હોય તો મેચમાં
સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. બન્ને ટીમ માટે આ મેચ સેમિફાઈનલ જેવી જ છે.
મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટરમાં ખિતાબની પ્રબળ દાવેદાર ગુજરાત ટાઈટન્સને હરાવીને
છઠ્ઠા ખિતાબ તરફ કદમ વધાર્યું છે. આ જીતથી મુંબઈનો આત્મવિશ્વાસ વધ્યો છે. આરસીબી
અને પંજાબ કિંગ્સની તુલનામાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નોકઆઉટ તબક્કાનો વધારે અનુભવ
ધરાવે છે. મુખ્ય કોચ મહેલા જયવર્ધને સામે પડકાર હવે ટીમને સંગઠિત રાખવાનો છે.
શ્રીલંકાના પૂર્વ કેપ્ટને પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. ગયા સત્રમાં સૌથી
નીચે રહેલી મુંબઈની ટીમને પ્લેઓફમાં પહોંચાડવામાં જયવર્ધનેને ભૂમિકા મહત્ત્વની છે.
પંજાબ કિંગ્સમાં કેપ્ટન શ્રેયસ અય્યર અને મુખ્ય કોચ રિકિ પોન્ટિંગની જોડી માટે
પડકાર એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે ગત મેચની હાર ટીમે ભૂલે અને નવી ઊર્જાથી મુંબઈ
સામેની મેચમાં ઊતરે. ખાસ કરીને બોલિંગ વિભાગમાં અમુક ખેલાડીઓ બહાર થતાં સમસ્યા
સામે આવી છે.