• રવિવાર, 01 જૂન, 2025

જ્યોતિનો જાસૂસીકાંડ ગંભીર અને ચોંકાવનારો

સ્વાર્થ અને લોભ માનવીની નિયત બગાડી નાખે છે. અપ્રમાણિક્તાની ખાઈમાં લપસી ગયા પછી સાચાં - ખોટાંનું ભાન નથી રહેતું. યુ - ટ્યુબ પર ધૂમ મચાવનારી હિસ્સારની જ્યોતિ મલ્હોત્રાની કહાણી કંઈક આવી જ છે. સોશિયલ મીડિયામાં જાત જાતની પોસ્ટ નાખીને વ્યાપક હાજરી વર્તાવનારી જ્યોતિની હરિયાણા અને પંજાબ પોલીસે ધરપકડ કરી છે. પાકિસ્તાનની ખંધી જાસૂસી સંસ્થા આઈએસઆઈને દેશને લગતી ગુપ્ત બાતમી પહોંચાડવાનો તેના પર ગંભીર આરોપ છે. આ કિસ્સામાં જ્યોતિ ઉપરાંત બીજા છ જણને પણ સકંજામાં લેવામાં આવ્યા છે. પહેલગામમાં આતંકવાદીઓએ પાશવી હત્યાકાંડ સર્જ્યો અને તેને પગલે ભારતીય દળોએ ઓપરેશન હાથ ધરતાં દેશભરમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાયેલો છે, એવા સમયે જ્યોતિ મલ્હોત્રાનો કાંડ બહાર આવ્યો છે. સોશિયલ મીડિયામાં લોકપ્રિયતાનો નશો લાગી ગયા પછી પાકિસ્તાની એજન્સી સાથે કથિત હાથ મિલાવીને જ્યોતિએ રાષ્ટ્રની પરવા નથી કરી. તેની ઊલટ તપાસ કરી રહેલા અધિકારીઓને કેટલીક ચોંકાવનારી માહિતી મળી છે. નાપાક જાસૂસી એજન્સી સાથેના વોટ્સએપ સંવાદમાં જ્યોતિએ તેનાં લગ્ન પાકિસ્તાનમાં કરાવી આપવાની વાત કરી હતી. તેના મોબાઈલ અને લેપટોપમાંથી કેટલીક સંદિગ્ધ સામગ્રી મળતાં ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને આઈપીસી ધારા 152 અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાના પાકિસ્તાન પ્રવાસની વિશેષ ચર્ચા થઈ રહી છે. તેણે અનેક દેશના પ્રવાસ કર્યા હતા અને બાંગલાદેશ જવાની વેતરણમાં હતી. તેના યુ - ટયુબ ચેનલના 3.79 લાખ સબક્રાઈબર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર 1.40 લાખ ફોલોઅર્સ છે. તેણે જુદાં જુદાં રાજ્યના પોતાના પ્રવાસ ઉપરાંત વિદેશયાત્રાને લગતા વીડિયો પોસ્ટ કર્યા છે. સલામતી એજન્સીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ જ્યોતિનો ઘણો ઉપયોગ કરવા માગતી હતી. તેની સામે અતિગંભીર આરોપ લાગેલા છે. જ્યોતિએ ઓપરેશન સિંદૂરને લગાતી ગુપ્ત માહિતી પણ ભારતવિરોધીઓને પહોંચાડી હતી. તેના પાકિસ્તાન ઉચ્ચાયોગ કચેરીના અધિકારી દાનિશ ઉર્ફે અહેસાન ઉર્ રહીમ સાથેના સંપર્કની વિગતો છતી થઈ ચૂકી છે. વધુ એક ચોંકાવનારી વાત એ છે કે 22મી એપ્રિલે પહેલગામ હુમલો થયા પછી અને ભારત - પાકિસ્તાન વચ્ચેના સૈન્યતણાવ વખતે પણ જ્યોતિ - દાનિશનો સંપર્ક યથાવત્ હતો. જ્યોતિ પાસે કે તેનાં માધ્યમથી લશ્કરી કાર્યવાહીની વિગતો સીધી પહોંચતી હતી કે કેમ એ માહિતી નથી મળી, પણ તે પાકિસ્તાન ગુપ્તચર ઓપરેશન્સના સંપર્કમાં હતી. આ વાત તેની ગદ્દારી અને ગંભીર અપરાધ તરફ ઈશારો કરે છે. જ્યોતિ મલ્હોત્રા અને બીજાઓને સંડોવતા જાસૂસીકાંડનો ભાંડો ફોડીને સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવી છે. દેશભક્તિનો અંચળો ઓઢીને દેશવિરોધી કામ કરનારા લોકો શત્રુ કરતાંય વધુ ખતરનાક હોય છે. તેની જાળ ભેદીને આપણી સુરક્ષા એજન્સીઓએ મોટું કામ કર્યું છે. જ્યોતિના મોબાઈલમાં પાક ઉચ્ચાયુક્ત કચેરીના કેટલાય અધિકારીઓના સંપર્ક નંબર મળ્યા છે. જ્યોતિ જાસૂસીકાંડમાં ઊંડે સુધી જઈને દેશના ગદ્દારોને વીણીને સાફ કરવાની જરૂર છે. બીજાં રાજ્યોમાં પણ સંબંધિત તંત્રએ આવી પ્રવૃત્તિ કરનારા સોશિયલ મીડિયા યુઝર્સ માટે માપદંડ ઘડવા જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd